લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડના મામલે આજે મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે. ભાવનગર જિલ્લાના બગદાણા વિસ્તારમાં નવનીત બાલધિયાને માર મારવાના ગંભીર કેસમાં SIT દ્વારા જયરાજ આહીરની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં શરૂઆતથી જ વિવાદ અને ચર્ચા ચાલી રહી હતી, કારણ કે નવનીત બાલધિયા પર થયેલા હુમલાને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતા અને સમાજમાં ફેલાયેલી અસંતોષની લાગણીને ધ્યાને લઈને SITની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આજે જયરાજ આહીરને કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે કોર્ટે તેના જામીન ફગાવ્યા છે.
મહુવા કોર્ટમાં જયરાજ આહીરને રજૂ કરવામાં આવ્યો હતો
SIT દ્વારા વિસ્તૃત તપાસ બાદ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેને રેન્જ આઈ.જી. કચેરી ખાતેથી પોલીસના કડક બંદોબસ્ત સાથે મહુવા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન સુરક્ષાની દૃષ્ટિએ ભારે પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. મહુવા કોર્ટ ખાતે જયરાજ આહીરને કાયદેસર રીતે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટે જયરાજની જામીન અરજી નામંજુર કરી છે
જયરાજ આહીર જેલભેગો!
કોર્ટમાં રજૂઆત દરમિયાન પોલીસ દ્વારા આરોપી સામે વધુ તપાસ માટે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કેસની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાનમાં લઈ મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીરના જામીન નામંજુર કર્યા છે. જેના પગલે હવે જયરાજ આહીર જેલભેગો થયો છે. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકો SITની તપાસ પર નજર રાખી રહ્યા છે.




















