Surat fire : આગ લાગતાની સાથે જ ગોડાઉનમાંથી ધુમાડાના મોટા ગોટા ઉડતા જોઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગનો કોલ મળતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર ફાયટરો દ્વારા તરત જ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગને કાબૂમાં લેવા માટે 11 જેટલી વધુ ફાયર ટેન્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આગ વધુ ફેલાય નહીં તે માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે.
આ ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, પરંતુ ગોડાઉનમાં રહેલા લાકડાના જથ્થાને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ કારણોની તપાસ હાથ ધરવામાં આવશે.
ચોક બજાર વિસ્તાર વ્યસ્ત વેપારી વિસ્તાર હોવાથી આગની ઘટનાને લઈ થોડા સમય માટે ટ્રાફિક અને લોકોની અવરજવર પર પણ અસર પડી હતી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.





















