રાજ્ય સરકારે આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લીધા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીએ સરકારી શાળાઓમાં ટોયલેટોની તાત્કાલિક મરામત અને રંગરોગાન માટે ખાસ ઝુંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. બાળકોને સ્વચ્છ અને સુરક્ષિત પરિસર મળે તે માટે અધિકારીઓને તરત કામગીરી શરૂ કરવા સૂચના આપી છે.
પર્યાવરણને લઇને પણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. નદી અને નાળાઓની ગંદકી દૂર કરવા તેમજ હવા પ્રદૂષણ ઘટાડવા માટે રાજ્યસ્તરે એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારમાં પણ સફાઈ અને પ્રદૂષણ નિયંત્રણની કામગીરી વધુ મજબૂત બનાવાશે.
ચિંતન શિબિર અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે શિબિર દરમિયાન ઉઠેલા મુદ્દાઓ પર જેનો તરત ઉકેલ મળી શકે એવા મુદ્દાઓનો તાત્કાલિક નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકાર કામકાજની ઝડપ વધારવા પ્રતિબદ્ધ છે.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સરકારે મોટી મદદ આપી હોવાનું પણ મંત્રીએ જણાવ્યું. અત્યાર સુધીમાં 29 લાખ જેટલી અરજીઓમાંની 11 લાખ અરજીઓ મંજુર કરવામાં આવી છે અને લગભગ ₹1,098 કરોડની સહાય ખેડૂતોને ચૂકવાઈ ગઈ છે. હજુ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેવાની છે અને દરરોજ ખેડૂતોને મદદ મળી રહી છે.
કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વપરાયેલા શબ્દોની તેમણે કડક ટીકા કરી. સરકારના મતે દેશના વડાપ્રધાન અંગે અપમાનજનક ભાષા સ્વીકાર્ય નથી અને ગુજરાત કોંગ્રેસે પણ આ મુદ્દે પોતાનું સ્ટેન્ડ સાફ કરવું જોઈએ.
અન્ય મુદ્દાઓમાં ગેરકાયદેસર દવાનો વેચાણ, ખાતરની અછત અને અમદાવાદના બ્રિજ મામલે પણ મંત્રીએ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા એલર્ટ છે અને કાયદાના વિરુદ્ધ કોઈ પણ બાબત કાયદેસર બની શકે નહીં.





















