નર્મદા જિલ્લોના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ માટે બજેટમાં કોઈ સ્પષ્ટ આયોજન ન થતા સાંસદ મનસુખ વસાવા નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, સાગબારા અને ડેડીયાપાડા વિસ્તારોમાં સિંચાઈ માટે તાત્કાલિક પગલાં ભરવાની રજૂઆત કરી છે.
MP મનસુખ વસાવા નારાજગી વ્યક્ત કરી
સાંસદના જણાવ્યા મુજબ આદિવાસી ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે અને તેમને આશા હતી કે, આ વખતના રાજ્ય બજેટમાં ડેડીયાપાડા–સાગબારા વિસ્તારમાં સિંચાઈ માટે ગંગાપુર ડેમની જાહેરાત કરવામાં આવશે. પરંતુ ગયા બજેટની જેમ આ વખતે પણ કોઈ જાહેરાત ન થતા આદિવાસી સમાજમાં નારાજગી ફેલાઈ છે. તેમણે જણાવ્યું કે, સરકાર ઈચ્છે તો આ કામગીરી શક્ય છે, છતાં જરૂરી આયોજન કરવામાં આવ્યું નથી.
'આદિવાસીઓને સિંચાઈના પાણીની ભારે તકલીફ પડી રહી છે'
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ વિસ્તારોમાં પણ આદિવાસીઓને સિંચાઈના પાણીની ભારે તકલીફ પડી રહી છે, છતાં બજેટમાં કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી નથી. ચીકદા નજીક ગંગાપુર ડેમ બનાવવાની વર્ષો જૂની માંગ હોવા છતાં સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી, જ્યારે તમામ જરૂરી વિગતો અગાઉ જ સોંપવામાં આવી ચૂકી છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે કરજણ અને નર્મદા ડેમ માટે જેમણે પોતાની જમીન આપી છે, તેમને સિંચાઈના પાણી પર પ્રથમ હક છે. છતાં આવા અનેક ગામોમાં આજે પણ સિંચાઈનું પાણી ઉપલબ્ધ નથી. આ સ્થિતિ સુધારવા માટે તાત્કાલિક અને વ્યાપક આયોજન કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું છે.




















