ગાંધીનગરના માણસામાં કોલેજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિષય પર પ્રવચન આપતા ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારની જીભ લપસી હતી, ત્યારે માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાઓલએ ઉભા થઈને જયરાજસિંહ પરમારને બોલતા રોક્યા હતા જે દરમિયાન માહોલ ગરમાયો હતો.
જયરાજસિંહ શું બોલ્યા કે, યોગરાજસિંહ ઉભા થઈ ગયા?
જયરાજસિંહ પરમારએ કહ્યું કે, ''ભારતમાં પહેલેથી જ વર્ણ વ્યવસ્થા ગોઠવાયેલી હતી તે મુજબ ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષાની હતી, પરંતુ અંધશ્રદ્ધાઓ અને વર્ણભેદને કારણે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ બન્યો''. આ સમગ્ર બાબતે યોગરાજસિંહ ઉભા થઈને આ પ્રવચન આપતા જયરાજસિંહને રોકતા બંને વચ્ચે રકઝક થઈ હતી
તું-તું મે-મે થઈ બાદ યોગરાજસિંહ કાર્યક્રમ છોડીને નીકળી ગયા
યોગરાજસિંહ ઉભા થઈને જયરાજસિંહને કહ્યું કે, ''તમે ક્ષત્રિય સમાજ વિશે ખોટી વાત ફેલાવી રહ્યા છો'' પાંચ સાત મિનિટ સુધી તેઓની વચ્ચે ક્ષત્રિય સમાજના ઇતિહાસને લઈને તું-તું મે-મે થઈ હતી. યોગરાજસિંહ રાઓલ ઉભા થઈને ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા હતા. બંને વચ્ચે વિવાદ વધે નહીં તે માટે કાર્યક્રમમાં હાજર અન્ય લોકો દ્વારા સમજાવીને બંનેને શાંત પાડવામાં આવ્યા હતા.
આ મામલે યોગરાજસિંહ શું કહ્યું?
આ સમગ્ર મામલે યોગરાજસિંહએ કહ્યું કે, ''હું તેમનો ઓળખ પણ નથી અને મને અંગત વાંધો પણ નથી, માત્ર મને તેમની વાત યોગ્ય ન લાગી એટલુ કહ્યું, જેઓ બકવાસ કરી રહ્યા હતા તે મારાથી સહન ન થયું એટલે જ મેં તેમની વાતનો પ્રતિકાર કર્યો હતો''.
''ગાંડા જેવી વાત કરતા હતા''
જયરાજસિંહએ કહ્યું કે, ''માણસા કોલેજ ખાતે અલગ-અલગ સર્ટિફિકેટ કોર્સ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે હું ગયો હતો. માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાઓલ પણ પોતે સ્થાનિક હોવાના કારણે તેમને બોલાવવામાં આવેલા હતા, જેમાં કહ્યું હતું કે, આપણે ગુલામ થયા હતા અને અનેક લોકોએ આપણી ઉપર રાજ કર્યું છે, એવી મેં વાત કરી હતી. જે મુદ્દે તેઓ ઉભા થઈ ને કેવા લાગ્યા કે, આપણે ક્યારેય ગુલામ થયા જ નથી. અમારું સ્ટેટ હતું ત્યારે ગુલામ થયા જ નથી અને ગાંડા જેવી વાત કરતા હતા''





















