ગુજરાત રાજ્યમાં વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ તેઓ મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO)માં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. દાસ 1990 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે અને તેમણે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી મેળવી છે.
હાલના ચીફ સેક્રેટરી પંકજ જોશી 31 ઓક્ટોબરે, નિવૃત થઈ રહ્યા છે. પંકજ જોશીએ આશરે 9 મહિના સુધી રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. તેમની નિવૃત્તિ બાદ મનોજ કુમાર દાસ ચીફ સેક્રેટરીનો ચાર્જ સંભાળશે. દાસનો કાર્યકાળ એક વર્ષથી વધુ રહેશે અને તેઓ ડિસેમ્બર 2026માં નિવૃત્ત થશે.
રાજ્ય સરકાર દ્વારા મનોજ કુમાર દાસની નિમણૂકને લઈને સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દાસે અગાઉ વિવિધ મહત્વપૂર્ણ વિભાગોમાં કામગીરી કરી છે અને તેઓ મુખ્ય પ્રધાન કાર્યાલયમાં ચીફ એડિશનલ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી રહ્યા હતા. તેમની અનુભવી કાર્યપદ્ધતિ અને પ્રશાસકીય દૃઢતાને ધ્યાનમાં રાખીને તેમને રાજ્યના સર્વોચ્ચ પ્રશાસકીય પદે પસંદ કરવામાં આવ્યા છે. રાજ્યના વહીવટી તંત્રમાં તેમની નિમણૂકનું સ્વાગત કરવામાં આવ્યું છે.





















