LPG Cylinder Surrender Rule: હાલમાં દેશમાં LPG (રાંધણ ગેસ) ના પુરવઠાને લઈને ઊભી થયેલી પડકારજનક સ્થિતિ વચ્ચે સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ગેસની અછતને પહોંચી વળવા અને લોકોને વૈકલ્પિક સુવિધા તરફ વાળવા માટે હવે PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) પર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
PNG કનેક્શન લેવા પર આકર્ષક છૂટ
લોકો વધુમાં વધુ PNG કનેક્શન લેવા માટે પ્રેરાય તે હેતુથી ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ નવા કનેક્શન પર ₹500ની છૂટ આપવાની જાહેરાત કરી છે. માત્ર IGL જ નહીં, પરંતુ મહાનગર ગેસ લિમિટેડ, ગેલ (GAIL) અને ભારત પેટ્રોલિયમ જેવી મોટી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએ પણ આ પ્રકારની પહેલ શરૂ કરી છે. સરકારના નવા આદેશ મુજબ, જે ગ્રાહકો પાસે PNG કનેક્શન ઉપલબ્ધ છે, તેમણે તેમના LPG સિલિન્ડર સરેન્ડર કરવા પડશે, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી રાંધણ ગેસ પહોંચાડી શકાય.
LPG પુરવઠાની વર્તમાન સ્થિતિ
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, LPGનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં તેનો સપ્લાય હાલમાં એક મોટો પડકાર છે. મંત્રાલયના અધિકારી સુજાતા શર્માએ જણાવ્યું કે LPG કંટ્રોલ ઓર્ડર લાગુ થયા બાદ સ્થાનિક ઉત્પાદનમાં 36% નો વધારો થયો છે. કોઈપણ ડિસ્ટ્રીબ્યુટરે ગેસ પૂરો થઈ ગયો હોવાની સત્તાવાર જાણ કરી નથી. ગ્રાહકોને ગભરાટમાં આવીને 'પેનિક બુકિંગ' (વધારાનું બુકિંગ) ન કરવા વિનંતી કરવામાં આવી છે.
કાળાબજાર અને જથ્થાખોરી સામે લાલ આંખ
ગેસની અછતનો ફાયદો ઉઠાવતા તત્વો સામે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) વિશેષ અભિયાન શરૂ કર્યું છે. 15 માર્ચ 2026ના રોજ દેશભરના 1100થી વધુ આઉટલેટ્સ પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. ગેરરીતિ અટકાવવા માટે હવે ડિલિવરી કોડ (OTP) દ્વારા જ LPG ડિલિવરી લેવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મોટાભાગના રાજ્યોમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે અને ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.
સમુદ્ર માર્ગેથી રાહતના સમાચાર: 'શિવાલિક' ભારત તરફ રવાના
ગેસ અને તેલના પુરવઠાને લઈને મંત્રાલયે આશાસ્પદ માહિતી આપી છે. LPG લઈને આવી રહેલું જહાજ ‘શિવાલિક’ હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યું છે, જે આજે સાંજ સુધીમાં ભારત પહોંચે તેવી શક્યતા છે. આ ઉપરાંત, 81,000 ટન કાચું તેલ લઈને આવતું ભારતીય જહાજ ‘જગ લાડકી’ પણ સુરક્ષિત રીતે મુંદ્રા પોર્ટ તરફ આવી રહ્યું છે, જે મંગળવાર સુધીમાં પહોંચી જશે. પર્શિયન ગલ્ફમાં રહેલા તમામ 22 ભારતીય જહાજો અને તેમાં સવાર 611 ભારતીય નાવિકો સુરક્ષિત છે અને સરકાર તેમના સતત સંપર્કમાં છે.



















