Mahuva Marketing Yard : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. ટેકાના ભાવે કપાસની ખરીદી દરમિયાન ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ચેરમેન ગભરૂભાઈ કામળિયાએ કાપડ મંત્રી ગીરીરાજસિંહને પત્ર લખી મહત્વપૂર્ણ માંગણી કરી છે.
કપાસની ખરીદીના રજીસ્ટ્રેશન માટે મુદત તથા જથ્થો વધારાવા માંગ
મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરૂભાઈ કામળિયાએ તેમના પત્રમાં જણાવ્યું છે કે, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટે હાલમાં રજીસ્ટ્રેશન કરવાની મુદત અને જથ્થાની મર્યાદા ખેડૂતો માટે અપૂરતી સાબિત થઈ રહી છે. હાલ CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી દરેક કેન્દ્ર પર પ્રતિ ખેડૂત પ્રતિ દિવસ 12 મણની મર્યાદામાં કરવામાં આવી રહી છે, જેને વધારીને 17 મણ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે, જેથી ખેડૂતો પોતાનો વધુ કપાસ યોગ્ય ભાવે વેચી શકે.
કપાસની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન હાલમાં 31 ડિસેમ્બર સુધી માન્ય છે
આ ઉપરાંત CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન હાલમાં 31 ડિસેમ્બર સુધી માન્ય છે. પરંતુ મોટી સંખ્યામાં ખેડૂતો હજી સુધી રજીસ્ટ્રેશન કરી શક્યા નથી અથવા સમયસર કપાસ લાવી શક્યા નથી, તે બાબત ધ્યાનમાં રાખીને રજીસ્ટ્રેશનની મુદતને ઓછામાં ઓછા 10 દિવસ માટે વધુ લંબાવવામાં આવે તેવી પણ માંગ ચેરમેન દ્વારા કરવામાં આવી છે. મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતથી ખેડૂતોમાં આશા જાગી છે કે સરકાર અને CCI દ્વારા ખેડૂતોના હિતમાં સકારાત્મક નિર્ણય લેવામાં આવશે.





















