મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા વિસ્તારમાં પોલીસ પર હિંસક હુમલા થયો. ગામમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિ જોતા પોલીસ ટીમે બે શખ્સોને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ કાર્યવાહી જ ગંભીર અથડામણમાં ફેરવાઈ ગઈ. કુહાડી અને પાવડાથી હુમલો કરવામાં આવ્યો હતો આમાં 3 પોલીસ જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
માહિતી અનુસાર, પોલીસને GJ.35.BA.8152ની મોટરસાયકલ પર મીણીયાના થેલામાં શંકાસ્પદ વસ્તુ લઈ જતા બે શખ્સો દેખાયા હતા. તેમને રોકવાનો પ્રયાસ કરતા તેઓ ભાગી છૂટ્યા. પોલીસ તેમની પાછળ પીછો કરતાં રજાત ફળીયામાં પહોંચી હતી જ્યાં પહેલેથી જ ઘાતકી હુમલાની તૈયારી થઈ હોય તેવી રીતે 20થી વધુ સ્ત્રી-પુરુષોના ટોળાએ પોલીસને ઘેરી લીધી હતી. આરોપીઓએ કુહાડી અને પાવડા જેવા ઘાતક હથિયારોથી પોલીસ પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ ચિરાગકુમાર, એ.હે.કો. જીતેન્દ્રકુમાર અને અન્ય એક પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમના માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
આ ઘટનાને લઈને આરોપી અલ્પેશ માનસિંગ રજાતે કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે નીચેના આરોપીઓ સહિત 20થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. ઘટના બાદ Local Crime Branchની ટીમે વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે, અત્યાર સુધી આરોપીઓ પોલીસની પકડથી દૂર છે અને ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમોને કાર્યરત કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, શંકાસ્પદ થેલામાં શું સામગ્રી હતી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપીઓ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોઈ શકે છે. પોલીસ તપાસમાં આ મુદ્દો મહત્વપૂર્ણ બની રહ્યો છે, કારણ કે આ હુમલો પૂર્વયોજિત હતો કે અચાનક થયો તે જાણવા જરૂરી છે.





