જૂનાગઢના ભારતી આશ્રમના પૂર્વ લઘુમહંત મહાદેવભારતી ફરી એકવાર ગુમ થયા છે. આશ્ચર્યજનક રીતે આ છેલ્લા 10 દિવસમાં બીજીવાર છે જ્યારે તેઓ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા છે.
અગાઉ જંગલમાંથી મળી આવ્યા હતા
માહિતી મુજબ, મહાદેવભારતી અગાઉ 2 નવેમ્બરે ભારતી આશ્રમમાંથી એક સુસાઇડ નોટ લખીને ગુમ થયા હતા. ત્યારબાદ 5 નવેમ્બરે તેઓ જૂનાગઢના જંગલ વિસ્તારમાં ઈટવા ઘોડી પાસે અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ અને આશ્રમના લોકો દ્વારા તેમને શોધી બહાર કાઢ્યા બાદ જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
કોઈને કહ્યા વગર ફરીથી ઘરેથી નીકળી ગયા!
સારવાર બાદ મહાદેવભારતી પોતાના જસદણ તાલુકાના સાણથલી ગામે ભાઈ જિતુભાઈના ઘરે રહેવા ગયા હતા. પરિવારજનો જેમાં ખાસ કરીને માતા, પિતા અને બહેનોએ તેમને ઘણું સમજાવ્યું હતું કે ભૂતકાળની વાતો ભૂલીને ફરી સામાન્ય જીવન શરૂ કરો, તેમ છતાં, 9 નવેમ્બરના રોજ તેઓ કોઈને કહ્યા વગર ફરીથી ઘરેથી નીકળી ગયા છે.
'અમે બધાએ તેમને ઘણું સમજાવ્યું હતું'
ભાઈ જિતુભાઈએ જણાવ્યું કે, “અમે બધાએ તેમને ઘણું સમજાવ્યું હતું, માતા અને બહેનો તો રડી પડ્યાં હતા. છતાં તેમણે એક શબ્દ કહ્યા વિના ઘર છોડ્યું. અમને ખબર નથી કે તેઓ હાલ ક્યાં છે.” ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે મહાદેવભારતીને આશ્રમના તમામ પદ પરથી દૂર કર્યા હતા. આ નિર્ણય બાદથી મહાદેવભારતી માનસિક રીતે દુઃખી હતા. હાલમાં પોલીસ અને પરિવારના સભ્યો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે, અને તેઓ ક્યાં ગયા તે જાણવા માટે આશ્રમના સભ્યો અને જૂનાગઢ પોલીસ સાથે સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.






