Patan News: જિલ્લાના હારીજમાં એક યુવકના અપહરણ બાદ કરપીણ હત્યાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે ન્યાયની માંગ સાથે પરિવારજનોએ મૃતક યુવકના શબ સાથે હારીજ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરતા પરિસ્થિતિ તંગ બની હતી.
શું છે સમગ્ર મામલો?
ગઈકાલે હારીજમાં રહેતા અરવિંદ ઠાકોર નામના યુવકનું કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ યુવકને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ, તેના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ, આ હત્યા પાછળ પ્રેમ સંબંધની શંકા કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. મુખ્ય આરોપીને શંકા હતી કે મૃતક અરવિંદના તેની પત્ની સાથે આડા સંબંધો હતા, જેના કારણે તેણે હત્યાનો પૂર્વયોજિત પ્લાન ઘડી આ ગુનાને અંજામ આપ્યો હતો.
પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
આ ઘટના બાદ હારીજ પોલીસની ઢીલી કામગીરીને લઈને પરિવારજનોમાં ભારે નારાજગી છે. પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે પોલીસે અત્યાર સુધી માત્ર એક જ આરોપીને ઝડપ્યો છે. પકડાયેલા આરોપી સામે પણ પોલીસ નરમ વલણ અપનાવી રહી છે. અપહરણની જાણ હોવા છતાં પોલીસ સમયસર પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.
ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન
આજે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો અને સમાજના લોકો હારીજ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. પરિવારજનોએ જીદ પકડી છે કે જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે અને તેમનું જાહેરમાં સરઘસ કાઢી કડક કાર્યવાહી કરવામાં ન આવે, ત્યાં સુધી તેઓ ન્યાય માટે લડત ચાલુ રાખશે. હાલમાં પોલીસ સ્ટેશન બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પરિવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોલીસની હાલની કામગીરીથી સંતુષ્ટ નથી.




















