Pune Ketan Agarwal Murder Case: સિયા ગોયલ અને કેતન અગ્રવાલનો કેસ હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. શરૂઆતમાં ટ્રેકિંગ દરમિયાન થયેલો અકસ્માત માનવામાં આવેલી આ ઘટના હવે સંભવિત હત્યાના કેસમાં ફેરવાઈ ગઈ છે. પોલીસે કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને હવે આ કેસમાં એક નવો એંગલ પણ સામે આવ્યો છે. ચર્ચા એ વાતની છે કે શું સિયાએ પૈસા કરતાં પ્રેમને પસંદ કર્યો? જોકે આ અંગેની ચર્ચાઓ સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં ચાલી રહી છે, જ્યારે કેસની તપાસ હજુ ચાલુ છે અને અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા જ લેવામાં આવશે.
કરોડપતિ કેતન અને સામાન્ય જીવન જીવતો ચેતન
પોલીસ તપાસ અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક તરફ કેતન અગ્રવાલ સફળ યુવા ઉદ્યોગપતિ હતો. સમૃદ્ધ પરિવાર, કરોડો રૂપિયાનો બિઝનેસ અને વૈભવી જીવનશૈલી સાથે તેનું ભવિષ્ય ઉજ્જવળ માનવામાં આવતું હતું. બીજી તરફ ચેતન ચૌધરી સામાન્ય પરિવારનો યુવક હોવાનું અને રાશનની દુકાનમાં કામ કરતો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ જ કારણસર હવે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે સિયાએ સંપત્તિ નહીં પરંતુ પ્રેમ પસંદ કર્યો. જોકે જો તે સાચું હોય તો પણ સવાલ એ ઊભો થાય છે કે સંબંધ તોડવાના બદલે હત્યાની કથિત ષડયંત્ર કેમ કેમ રચાયું?
કેવી રીતે શરૂ થયો પ્રેમ સંબંધ?
તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2025 દરમિયાન એક દિવાળી પાર્ટીમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરીની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધી અને ધીમે-ધીમે નજીકતા વધી હોવાનો પોલીસનો દાવો છે. તે સમયે સિયાની સગાઈ કેતન અગ્રવાલ સાથે થઈ ચૂકી હતી અને બંને પરિવારો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા.
પોલીસે કોલ ડિટેઇલ રેકોર્ડ્સની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને વચ્ચે સતત સંપર્ક હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેએ મહિનાઓ દરમિયાન હજારો ફોન કોલ કર્યા હતા અને લાંબા સમય સુધી વાતચીત કરી હતી. તપાસ એજન્સીઓ આ સંબંધને કેસના મહત્વના પાસા તરીકે જોઈ રહી છે.
આ પણ વાંચો : Pune Murder Case : પુણે પોલીસે મંગેતર સિયા અને તેના પ્રેમીને સામસામે બેસાડીને પૂછપરછ કરી
નવેમ્બરમાં થવાના હતા ભવ્ય લગ્ન
કેતન અને સિયાની સગાઈ પછી બંને પરિવારો લગ્નની તૈયારીઓમાં લાગી ગયા હતા. માહિતી મુજબ નવેમ્બરમાં રાજસ્થાનના ઉદયપુરમાં ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ યોજાવાનું હતું. લગ્ન માટે કરોડો રૂપિયાનો મહેલ બુક કરવામાં આવ્યો હતો અને મહેમાનો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હતી. બહારથી બધું સામાન્ય અને ખુશહાલ દેખાતું હતું, પરંતુ તપાસ મુજબ અંદરખાને પરિસ્થિતિ અલગ હતી.
જન્મદિવસે ગયો હતો ટ્રેકિંગ માટે
18 જૂનના રોજ કેતન પોતાના જન્મદિવસ નિમિત્તે સિયા અને મિત્રો સાથે પુણે નજીક આવેલા લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ માટે ગયો હતો. ટ્રેકિંગ દરમિયાન કેતન આશરે 400 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયો હતો. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત માનવામાં આવી હતી. બચાવ ટીમે તેને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
એક સંકેત મળતા જ કેતનને ખાઈમાં ધકેલી દીધો
તપાસમાં સામે આવ્યું છે કે 18 જૂનના રોજ સિયા ગોયલ કેતનને ફરવાના બહાને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી. ત્યાં અગાઉથી જ તેનો પ્રેમી ચેતન ચૌધરી હાજર હતો. બંનેએ પહેલેથી નક્કી કરેલા પ્લાન મુજબ એક સુમસામ સ્થળ પસંદ કર્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિયાએ નીચે બેસીને સંકેત આપતા જ ચેતન પાછળથી દોડી આવ્યો અને કેતનને ઊંડી ખાઈમાં ધક્કો મારી દીધો. ઘટના બાદ સિયાએ બૂમાબૂમ કરીને તેને અકસ્માત હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો, જેથી કોઈને હત્યાની શંકા ન જાય.
અકસ્માતથી હત્યા સુધી
ઘટના બાદ પરિવારને કેટલીક બાબતો શંકાસ્પદ લાગી હતી. ત્યારબાદ પોલીસે ફરી તપાસ શરૂ કરી. CCTV ફૂટેજ, મોબાઇલ લોકેશન, કોલ ડિટેઇલ્સ અને અન્ય ટેક્નિકલ પુરાવાની તપાસ દરમિયાન પોલીસને ઘટનામાં ગૂંચવણ દેખાઈ. તપાસ દરમિયાન એક હુડી પહેરેલો યુવક કેતન અને સિયાની પાછળ ચાલતો CCTVમાં જોવા મળ્યો હતો. ગરમી હોવા છતાં તેણે ચહેરો ઢાંકી રાખ્યો હતો. ત્યારબાદ તેની ઓળખ ચેતન ચૌધરી તરીકે થઈ હોવાનું પોલીસનું કહેવું છે. આ પુરાવા બાદ તપાસનો રૂખ સંપૂર્ણ બદલાઈ ગયો.
પોલીસે શું દાવો કર્યો?
પોલીસના જણાવ્યા મુજબ સિયા ગોયલ ચેતન સાથે જીવન જીવવા ઇચ્છતી હતી. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેતનને રસ્તામાંથી હટાવવાનો પ્લાન અગાઉથી બનાવવામાં આવ્યો હતો. કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અગાઉ પણ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. જોકે આ તમામ મુદ્દાઓની તપાસ હજુ ચાલુ છે.
પોલીસનું કહેવું છે કે લોહગઢ કિલ્લા પર યોગ્ય તક મળતા સમગ્ર યોજના અમલમાં મૂકવામાં આવી અને બાદમાં તેને અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ થયો હતો. જોકે આ દાવાઓની કોર્ટમાં હજુ કાનૂની ચકાસણી થવાની બાકી છે.
આરોપીઓની 'બ્લેમ ગેમ'
તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ કસ્ટડીમાં રહેલા સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ એકબીજા પર આરોપ લગાવવાનું શરૂ કર્યું છે. બંને હવે પોલીસ સામે એકબીજાને મુખ્ય દોષી ઠેરવી રહ્યા છે, જેના કારણે તપાસકર્તાઓ માટે ઘટનાક્રમ સમજવો સરળ બન્યો છે.
ડિજિટલ પુરાવાનો મોટો ખુલાસો
પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા 6 મહિનામાં સિયા અને ચેતન વચ્ચે 2,004 ફોન કોલ્સ થયા હતા અને બંનેએ કુલ 238 કલાક ફોન પર વાત કરી હતી. આ ડેટા સાબિત કરે છે કે આ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી, પરંતુ લાંબા સમયથી ચાલી રહેલું કાવતરું હતું. બંને આરોપીઓને 29 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ હવે દરેક ખૂણેથી પુરાવા એકત્રિત કરી રહી છે, જેથી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી શકાય.
કેતનના પરિવારનો આક્રોશ
કેતનના પિતા વિશાલ અગ્રવાલે મીડિયાને જણાવ્યું હતું કે જો સિયાને લગ્ન કરવા ન હતા તો તે સ્પષ્ટપણે ના કહી શકતી હતી. તેમના જણાવ્યા અનુસાર બંને પરિવારો વર્ષોથી એકબીજાને ઓળખતા હતા અને કોઈને પણ આવી ઘટનાની કલ્પના નહોતી. તેમણે આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.
કેતનની માતાએ પણ ભારે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે જે યુવતીને તેઓ વહુ માનતા હતા, આજે તેના પર જ તેમના દીકરાની હત્યાની સજિશ રચવાનો આરોપ છે. તેમણે પણ આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા
સોશિયલ મીડિયા પર કેતન દ્વારા સિયાને પ્રપોઝ કરવાના વીડિયો અને તેમની સગાઈના ફોટા વાયરલ થયા છે. લોકો આ વીડિયોને જોઈને અત્યંત ભાવુક છે, કારણ કે એક તરફ કેતનનો પ્રેમ દેખાય છે અને બીજી તરફ તેની સાથે થયેલો વિશ્વાસઘાત.
આ કેસ બાદ સોશિયલ મીડિયા પર એક મોટી ચર્ચા શરૂ થઈ છે. ઘણા લોકોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ સંબંધમાં ખુશ ન હોય તો તેને સંબંધ સમાપ્ત કરવાનો અધિકાર છે, પરંતુ કોઈની હત્યા ક્યારેય વિકલ્પ બની શકે નહીં. બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે આ કેસમાં પ્રેમ, પૈસા અને વિશ્વાસઘાત – ત્રણેય બાબતો એકસાથે જોડાયેલી હોઈ શકે છે. જોકે આ અંગેનો અંતિમ નિષ્કર્ષ માત્ર તપાસ અને કોર્ટના નિર્ણય બાદ જ સામે આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે યથાવત્ : જાણો ક્યાં છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
તપાસ હજુ ચાલુ
હાલ સિયા ગોયલ અને ચેતન ચૌધરી પોલીસ કસ્ટડીમાં છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે. પોલીસ ડિજિટલ પુરાવા, CCTV ફૂટેજ, મોબાઇલ ડેટા અને અન્ય ટેક્નિકલ માહિતીના આધારે ચાર્જશીટ તૈયાર કરી રહી છે. આ કેસે માત્ર એક હત્યાની તપાસ પૂરતી ચર્ચા ઊભી કરી નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ, સંબંધોમાં પારદર્શિતા અને સંવાદના મહત્વ અંગે પણ સમગ્ર દેશમાં નવી ચર્ચા શરૂ કરી છે. હવે સૌની નજર પોલીસની અંતિમ તપાસ અને કોર્ટના ચુકાદા પર ટકેલી છે.





