Gujarati News: ભરઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આવો જ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી પીવાના પાણી માટે વલખાં મારતા કેરાળા ગામની મહિલાઓનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો હતો. પાણીની વિકટ સમસ્યાથી કંટાળેલી ગામની મહિલાઓ ભરબપોરે તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારની કચેરીએ ધસી ગઈ હતી અને તંત્રની ઘોર બેદરકારી સામે વિરોધ પ્રદર્શિત કરવા ઓફિસના પટાંગણમાં જ માટલા ફોડી ગરજ્યા હતા.
પાંચ વર્ષથી ટાંકી તૈયાર, પણ પાણીનું એક ટીપુંય નથી મળ્યું!
સ્થાનિક મહિલાઓએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, કેરાળા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી પીવાના પાણીની મોટી ટાંકી બનાવીને તૈયાર કરી દેવામાં આવી છે. પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે આ ટાંકી માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. પાંચ વર્ષના લાંબા સમયગાળામાં આ ટાંકીમાં પાણીનું એક ટીપું પણ નાખવામાં આવ્યું નથી. જેના કારણે ગ્રામજનોને પાણી માટે દર-દર ભટકવાની નોબત આવી છે.
થરાદ-લાખણી હાઇવે પર ગમખ્વાર અકસ્માત : બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર ધુડાભાઈ પટેલનું કરુણ મોત
તલાટી સાંભળવા તૈયાર નથી, પશુઓ પણ તરસ્યા
ગ્રામજનોનો આરોપ છે કે આ બાબતે સ્થાનિક વહીવટીતંત્ર અને તલાટીને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તલાટી ગ્રામજનોની કોઈ પણ સમસ્યા સાંભળવા તૈયાર નથી અને તેમની રજૂઆતોને સતત નજરઅંદાજ કરી રહ્યા છે. ગામમાં માત્ર માણસો જ નહીં, પરંતુ મૂંગા પશુઓ પણ પાણી વિના ટળવળી રહ્યા છે. પશુપાલન પર નભતા આ ગામમાં પાણીના અભાવે પશુઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. કેરાળા ગામની એક આક્રોશિત મહિલાએ જણાવ્યું હતું કે, અમે પાંચ વર્ષથી ધીરજ ધરીને બેઠા છીએ. ટાંકી સામે દેખાય છે પણ ગળા સુકાય છે. તલાટી અમારી વાત સાંભળતા નથી. જો માણસો અને પશુઓ પાણી વિના મરવાના વાંકે જીવતા હોય, તો અમારે આક્રોશ ક્યાં ઠાલવવો?"
ભરબપોરે કચેરી ગજવી, TDO અને મામલતદારને આવેદન પાઠવ્યું
અસહ્ય ગરમી હોવા છતાં, ગામની સેંકડો મહિલાઓ એકત્રિત થઈને સીધી તાલુકા મથકે પહોંચી હતી. માથે માટલા લઈને આવેલી મહિલાઓએ સુત્રોચ્ચાર કરી આખી કચેરી ગજવી મૂકી હતી અને અધિકારીઓની ચેમ્બર બહાર જ માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ મહિલાઓના આ ટોળાએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસોમાં કેરાળા ગામની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે, તો ગ્રામજનો દ્વારા આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.





