ગાંધીનગરના કલોલના કોઠા ગામમાં મારામારીની ઘટના બની છે. દેવીપૂજક સમાજની સભામાં હથિયાર સાથે આવેલા ટોળાએ તોડફોડ કરી મારામારી કરી હતી. અત્રે જણાવીએ કે, જય શ્રી હડકમાઈ માતા સમસ્ત દેવી-પૂજક ચેરીટીબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સભામાં મંદિર નિર્માણના મુદ્દે વિવાદ થયો હતો, જે મુદ્દો ઉગ્ર બનતા મોટી બબાલ થઈ હતી.
સભામાં તોડફોડ બાદ બબાલ
પાપ્ત વિગતો મુજબ જય શ્રી હડકમાઈ માતા સમસ્ત દેવી-પૂજક ચેરીટીબલ ટ્રસ્ટે ભૂતકાળમાં કોઠા ગામમાં સાડા ચાર વીઘા જમીન ખરીદી હતી, જેમાં માતાજીનું મંદિર અને ધર્મશાળા બનાવવા નક્કી કર્યું હતું. જે માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. જો કે, આ દરમિયાન કિરણ ઉર્ફે કિરણ બાવાભાઈ જાનુ, ભરત હિરાભાઈ દંતાણી, અરવિંદ વિકાણી સહિત અન્ય લોકો આવી બબાલ કરવા લાગ્યા હતા. જે બાદ આરોપીઓએ ટ્રસ્ટના પ્રમુખ રૂપસંગ ભરભીડીયા સહિતના આગેવાનો સાથે ઝપાઝપી કરી હતી અને સભાની ખુરશીઓ તોડી નાખી અને પાર્કિંગમાં પડેલી ગાડીના કાટ ફોડ્યા હતા, આ દરમિયાન એક વ્યક્તિને આંખની નીચે છરી વાગી હતી
12 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો: PI
સમગ્ર બનાવની જાણ થતાં કલોલ તાલુકા પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ અંગે PIએ જણાવ્યું કે, ''દેવીપૂજક સમાજની સભામાં મંદિર બનાવવા મુદે માથાકૂટ થઈ હતી અને આરોપીઓએ હુમલો કર્યો હતો. સીતારામની ફરિયાદના આધારે 12 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે''.






