Home Gujarat Kadana Bhadar Dam Irrigation Water Stopped Gujarat

મધ્ય ગુજરાતમાં જળસંકટના એંધાણ : કડાણા-ભાદર ડેમમાંથી સિંચાઈનું પાણી બંધ, ખેડૂતોમાં ચિંતા

ખાલી કેનાલની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 17, 2026, 06:34 AM IST

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આશાસ્પદ રહી હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે લાંબો વિરામ લેતા રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની અછતના સંકેતો દેખાવા લાગ્યા છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે ખેંચને કારણે જળસંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગે મહત્વનો નિર્ણય લેતા મહીસાગર જિલ્લાના કડાણા ડેમ તેમજ ભાદર ડેમમાંથી ખેતી અને અન્ય હેતુઓ માટે છોડાતું પાણી તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે. આ નિર્ણયનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડવાનો છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદના આધારે વાવણી પૂર્ણ કરનાર ખેડૂતો હવે ઊભા પાક માટે સિંચાઈના પાણી પર નિર્ભર હતા. પરંતુ ડેમમાંથી પાણી બંધ થતાં હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો કૃષિ પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કડાણા ડેમમાં પાણીની આવક ઘટી

મધ્ય ગુજરાત માટે કડાણા ડેમ પાણીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ ચાલુ ચોમાસામાં વરસાદ ખેંચાતા ડેમમાં કુદરતી પાણીની આવક લગભગ બંધ થઈ ગઈ છે. હાલમાં ડેમમાં માત્ર 41 ટકા જેટલો લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે જળસપાટી ઘટીને આશરે 389 ફૂટ સુધી પહોંચી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલની સ્થિતિમાં સતત પાણી છોડવામાં આવશે તો આગામી મહિનાઓમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે. આથી પાણીનો સંગ્રહ જાળવી રાખવા માટે સિંચાઈ અને અન્ય ઉપયોગ માટેનું પાણી રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પીવાના પાણીને અપાઈ પ્રાથમિકતા

રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલની પરિસ્થિતિમાં પીવાના પાણીની જરૂરિયાત સૌથી મહત્વપૂર્ણ છે. ડેમમાં પાણીનો જથ્થો મર્યાદિત હોવાથી સૌથી પહેલા નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નિર્ણયના ભાગરૂપે કડાણા ડેમ આધારિત હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માટે પાણી છોડવાનું પણ બંધ કરવામાં આવ્યું છે. સાથે જ ખેતી માટેની સિંચાઈ પણ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચોમાસા વચ્ચે જ વડોદરામાં જળ કટોકટીના એંધાણ : આજવા સરોવર ચિંતાજનક સપાટીએ, અનેક વિસ્તારોમાં ટેન્કર રાજ

નહેરો અને મહી નદીમાં પાણી છોડવાનું બંધ

સિંચાઈ વિભાગના આદેશ બાદ કડાણા ડેમમાંથી નીકળતી વિવિધ નહેરોમાં પાણી છોડવાનું સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. તેમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ભરાતી કેનાલો, જમણા કાંઠાની મુખ્ય નહેર તેમજ મહી નદીના પટમાં છોડાતું પાણી પણ સામેલ છે. આ ઉપરાંત ભાદર ડેમમાંથી પણ સિંચાઈ માટેનું પાણી બંધ કરવાનો નિર્ણય લેવાતા મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં કૃષિ પર સીધી અસર થવાની શક્યતા વધી ગઈ છે.

ખેડૂતોની ચિંતા વધી

મહીસાગર, પંચમહાલ, ખેડા સહિતના જિલ્લાઓમાં મોટાભાગના ખેડૂતો ચોમાસાના પ્રથમ વરસાદ બાદ વાવણી પૂર્ણ કરી ચૂક્યા છે. હાલમાં પાકના વિકાસ માટે નિયમિત પાણીની જરૂરિયાત છે.

પરંતુ વરસાદની અછત અને ડેમમાંથી સિંચાઈનું પાણી બંધ થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ઘણા ખેડૂતોનું કહેવું છે કે જો આગામી એકાદ સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો મોંઘા બિયારણ, ખાતર અને અન્ય ખર્ચ બાદ પણ પાક બચાવવો મુશ્કેલ બની શકે છે. કૃષિ નિષ્ણાતો પણ માને છે કે પાકના આ તબક્કે પૂરતું પાણી ન મળવાથી ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.

આ પણ વાંચો: મહેસાણાનાં કડીમાં ક્રિકેટ રમવા મામલે પડોશીઓ વચ્ચે થઈ મારામારી : પતિ-પત્નીએ લોખંડની પાઇપથી હુમલો કરતાં યુવક થયો ઈજાગ્રસ્ત

હવામાન પર સૌની નજર

હાલ સમગ્ર મધ્ય ગુજરાતમાં ખેડૂતોની નજર હવામાન વિભાગની આગાહી પર છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ કડાણા અને ભાદર ડેમના જળગ્રહણ વિસ્તારમાં પૂરતો વરસાદ થાય તે અત્યંત જરૂરી બન્યું છે. જો ઉપરવાસમાં સારો વરસાદ થશે તો ડેમમાં નવી પાણીની આવક શરૂ થશે અને સિંચાઈ માટેનું પાણી ફરી શરૂ કરવાની શક્યતા ઊભી થઈ શકે છે. પરંતુ જો વરસાદની સ્થિતિમાં સુધારો નહીં થાય તો પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

લાંબા ગાળાના આયોજનની જરૂર

દર વર્ષે વરસાદની અનિશ્ચિતતા વચ્ચે માત્ર ડેમ પર આધાર રાખવો પૂરતો નથી. વરસાદી પાણીના સંગ્રહ, ચેકડેમ, તળાવોનું સંવર્ધન અને ભૂગર્ભ જળ રિચાર્જ જેવી વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

સાથે જ ખેડૂતોને પણ પાણી બચાવતી આધુનિક સિંચાઈ પદ્ધતિઓ જેમ કે ડ્રિપ અને સ્પ્રિંકલર સિસ્ટમ અપનાવવા માટે પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે. તેનાથી ઓછા પાણીમાં પણ પાકનું ઉત્પાદન જાળવી શકાય અને ભવિષ્યમાં જળસંકટની અસર ઘટાડી શકાય. હાલ માટે સમગ્ર મધ્ય ગુજરાતમાં નજર માત્ર આકાશ તરફ છે. ખેડૂતો, તંત્ર અને સામાન્ય નાગરિકો સૌ આશા રાખી રહ્યા છે કે આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન થશે અને વરસાદના કારણે ડેમોમાં ફરી પાણીની આવક શરૂ થશે. ત્યાં સુધી પીવાના પાણીના સંરક્ષણ અને પાણીના સમજદારીપૂર્વક ઉપયોગ પર ભાર મૂકવાની જરૂરિયાત વધુ વધી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now