ગાંધીનગરમાં સંજય કારોડિયાએ ગિરનાર અંબાજી મંદિર ખાતે ચિકન અને દારૂ પાર્ટી કરવાના મામલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને સમગ્ર સનાતન ધર્મ માટે દુઃખદ અને અયોગ્ય ગણાવી છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું કે ગિરનાર પર આવેલ અંબાજી મંદિરમાં બનેલી આ ઘટના ગંભીર છે અને તેને લઈને તેઓએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્ર સાથે સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં તેમણે જુનાગઢના કલેક્ટર અને SP સાથે પણ વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું કે આ બનાવ અંગે રાજ્ય સરકારના મંત્રી તેમજ જિલ્લાના પ્રભારી મંત્રીને પણ જાણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ તેમણે કરી છે.
સંજય કોરડિયાના જણાવ્યા મુજબ ભાજપ સરકાર સનાતન ધર્મના મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે અને આવી ઘટનાઓ કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે આ બનાવમાં સંકળાયેલા કેટલાક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ સાથે જ મંદિરમાં વ્યવસ્થા સંભાળતા કેટલાક લોકોને દૂર કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. મંદિરની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ટૂંક સમયમાં નવા પૂજારીની નિમણૂક પણ કરવામાં આવશે તેવી માહિતી તેમણે આપી હતી.
શું છે સમગ્ર મામલો?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરતા, દારૂ પીતા અને નોવનેજ સાથે જોવા મળ્યા હતા. આ મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા મંદિરની ગરિમા લજવનારા કિશોરસિંહ ચૌહાણ, તુષારગીરી ગૌસ્વામી, પ્રિન્સ ઠાકર, ગૌસ્વામી ભરતગીરી ધનગીરી,ભાર્ગવ ચૌહાણ, શૈલેશગીરી ગૌસ્વામી, ધવલગીરી ગૌસ્વામી, કાંતિગીરી અપારનાથી, દેવગીરી ગૌસ્વામી, વિજયભાઈ ત્રિવેદી અને સમીયા રામ રસોઈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.





















