Javahar Chavda: ગોપાલ ઈટાલિયા સામે ભાજપમાંથી કિરીટ પટેલને વિસાવદરથી ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોની સાથો-સાથ ભાજપના નેતા જવાહર ચાવડાની જય ના નારા લાગ્યા હતા. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છેકે, જ્યાં-જ્યાં પણ ઈટાલિયાની જીત થઈ છે ત્યાં તેની જીત પાછળ અને ભાજપના ઉમેદવારને હરાવવા પાછળ ભાજપના જ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો હાથ છે.
દાણો દબાવી રહ્યાં છે જવાહર ચાવડા?
સવાલ એ થાય છેકે, શું ખરેખર હાલ દાણો દબાવી રહ્યાં છે જવાહર ચાવડા? શું ખરેખર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાને જીતાડવામાં છે ભાજપના આ દિગ્ગજ નેતાનો હાથ? કેમ ભાજપના નેતા જવાહર ચાવડાના પ્રભુત્વવાળા ગામોમાં AAPના ઈટાલિયાને મળ્યાં સૌથી વધારે મત? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે. આ સવાલો અને વર્તમાન રાજકીય પરિસ્થિતિઓને જોતા ગુજરાતની રાજનીતિમાં મોટા પરિવર્તનનું એંધાણ થવાની દેખાઈ રહી છે. જવાહર ચાવડા નજીકના સમયમાં આમ આદમી પાર્ટી જોઈન કરી શકે છે. તેવી સંભાવનાઓ પણ રાજકીય વર્તુળોમાં વહેતી થઈ છે.
કેમ ચર્ચામાં છે જવાહર ચાવડા?
રાજકીય પંડિતોની માનીએ તો નજીકના સમયમાં ગુજરાતની રાજનીતિમાં યૂ-ટર્ન આવી શકે છે. જવાહર ચાવડા એટલાં માટે ચર્ચામાં છે કારણકે, ગોપાલ ઈટાલિયાની જીતમાં જે 13 ગામોમાંથી આમ આદમી પાર્ટીને વધારે મત મળ્યાં ત્યાં જવાહર ચાવડાનો પ્રભાવ છે. તેનો અર્થ એવો પણ રાજકીય પંડિતો માની રહ્યાં છેકે, જવાહર ચાવડાએ ભાજપને હરાવીને AAPના ઉમેદવારને જીતાડવા પોતના પ્રભુત્વ ધરાવતા ગામોમાં અપીલ કરી હોય એ વાત પણ અહીં સાંકેતિક રીતે દેખાઈ આવે છે.
જે 13 ગામોએ AAPના ઈટાલિયાને જીતાડ્યાં એ ગામો પર ભાજપના જવાહર ચાવડાનું પ્રભુત્વઃ
મતોની ટકાવારીની વાત કરીએ તો ખાસ કરીને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં મોણિયા ગામના સૌથી 79 ટકા મત ગોપાલ ઈટાલિયાને મળ્યાં. આ ઉપરાંત ભાજપના કિરીટ પટેલની સામેલ ગોપાલ ઈટાલિયાને વેકરિયા ગામમાં 64 ટકા, જેતલવડ ગામમાં 64 ટકા, લેરિયા 61 ટકા, ઘોડાસણ 58 ટકા, પિયાવા 58 ટકા, લાલપુર 57 ટકા, દાદર 57 ટકા, જાંબુડા 54 ટકા, રામપરા 54 ટકા, વડાળા 54 ટકા, રાજપરા 44 ટકા, અને ભટ વાવડીમાં સૌથી ઓછા 31 ટકા મત મળ્યાં. અહીં આપવામાં આવેલાં 13 ગામમાં ઈટાલિયાને મળેલાં મતની સરેરાશ ટકાવારીથી પણ ઉંચી ટકાવારી છે. આમ, વિસાવદરમાં ઈટાલિયાને કુલ 51 ટકા મત મળ્યાં હતાં. એવી પણ ચર્ચા છેકે, જ્યાં-જ્યાં ઈટાલિયાને વધુ મત મળ્યાં ત્યાં બધે ફરી-ફરીને જવાહર ચાવડાએ આમ આદમી પાર્ટીને જીતાડવા રૂબરૂ અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છેકે, પેટાચૂંટણીમાં જૂનાગઢના વિસાવદરમાં AAPની જીત છતાં "જવાહર ચાવડા ઝિંદાબાદ" ના નારા લાગ્યાં હતાં. ગોપાલ ઇટાલિયાની ઉજવણીમાં ભાજપના બળવાખોર નેતાનો જયજયકાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ અનેક રાજકીય સમીકરણો અને ભવિષ્યની શક્યતાઓ તરફ ઈશારો કર્યો છે. જવાહર ચાવડા આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે તેનો સંકેત પણ આ ઘટનાથી મળી ગયો હતો. હવે નજીકના સમયમાં જવાહર ચાવડા ખુલીને સામે આવે અને ભાજપ સાથે છેડો ફાડીને AAPને અપનાવે તેવી શક્યતાઓ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.
જવાહર ચાવડાએ અગાઉ એવું પણ કહ્યું હતુંકે, ભાજપે મારા પર BJPનું લેબલ લગાવવાનો પ્રયાસ કર્યો છે. જેથી મારી ઓળખ માત્ર ભાજપ નેતા તરીકેની રહે. મહત્ત્વનું છેકે, કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલાં જવાહર ચાવડાને તે સમયે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી પણ બનાવાયા હતા. જોકે, બાદમાં સમીકરણો બદલાઈ ગયા અને ચાવડા હાસિયામાં ધકેલાઈ ગયાં. ત્યાર બાદ વિસાવદરના ગામોમાં આમ આદમી પાર્ટી માટે આંતરિક રીતે મહેનત કરીને ભાજપને હરાવવામાં જવાહર ચાવડાની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.
કોણ છે જવાહર ચાવડા?
જવાહર ચાવડા ભાજપના એક જાણીતા નેતા છે અને ભાજપની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે, તેઓ મૂળ કોંગ્રેસના નેતા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા, જેના કારણે તેમને 'બળવાખોર નેતા' તરીકે પણ ઓળખવામાં આવે છે. બાદમાં ભાજપમાંથી પણ મંત્રી પદ જતુ રહેતા હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યાં હોવાનું ચર્ચામાં છે. એ જ કારણ છેકે, તેમની આમ આદમી પાર્ટી સાથે નીકટતા પણ વધી ગઈ છે. આ ઉપરાંત જવાહર ચાવડા પોતે રજવાડું ધરાવે છે.
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ ફરીથી પોતાનો દબદબો કાયમ કર્યો છે. આ પેટાચૂંટણીમાં AAP ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને એક જ બેઠક પર ત્રીજી વાર હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં ભાજપના જ નેતા જવાહર ચાવડાની મહત્ત્વની ભૂમિકા હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે.
વિસાવદરમાં AAPનું રાજઃ
2024 માં કોંગ્રેસ પાસેથી આંચકેલી વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ફરીથી પોતાનો કબ્જો જમાવ્યો છે. ગોપાલ ઇટાલિયાની આ જીત AAP માટે એક મહત્વપૂર્ણ બળવર્ધક માનવામાં આવે છે, ખાસ કરીને જ્યારે પાર્ટી ગુજરાતમાં પોતાનો પાયો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પરિણામ દર્શાવે છે કે વિસાવદર બેઠક પર AAP નો પ્રભાવ યથાવત છે અને પક્ષપલટો કરવા છતાં મતદારોનો વિશ્વાસ ફરીથી AAP માં સ્થપાયો છે.






