Jamnagar News : જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર જુતું ફેંકવાની ઘટનાએ રાજકીય જગતમાં ભારે ચર્ચા જગાવી છે. આ મુદ્દે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ સત્તાવાર નિવેદન આપતાં જણાવ્યું કે, લોકશાહીમાં વિવિધ વિચારધારાના લોકો જોડાયેલા હોય છે, પરંતુ કોઈ વ્યક્તિની વ્યક્તિગત લાગણીઓના આધારે થયેલા કૃત્યને કોંગ્રેસ સાથે જોડવું યોગ્ય નથી.
'છત્રપાલસિંહ જાડેજા કોંગ્રેસના કોઈપણ હોદ્દા પર નથી'
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'છત્રપાલસિંહ જાડેજા કોંગ્રેસના કોઈપણ હોદ્દા પર નથી અને રાજકીય ક્ષેત્રે આક્ષેપબાજી ભલે થતી હોય, પરંતુ કોંગ્રેસ આ ઘટનાથી કોઈ રીતે સંબંધિત નથી. છત્રપાલસિંહે પોતે પણ વીડિયો જાહેર કરી સ્પષ્ટતા કરી છે કે 2017માં પ્રદિપસિંહ જાડેજા પર જૂતું ફેંકાયાની ઘટનામાં તેમની લાગણી દુભાઈ હતી, અને એ જ ભાવનાત્મક આઘાતના કારણે તેમણે ગોપાલ ઈટાલિયા પર આક્રોશ ઉતાર્યો'.
'છત્રપાલસિંહ જાડેજા અનેક રાજપૂત સંસ્થાઓમાં કાર્યરત છે'
વિરેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, છત્રપાલસિંહ જાડેજા અનેક રાજપૂત સંસ્થાઓમાં કાર્યરત છે અને રાજપૂત સમાજના દીકરાના નાતે તેમની લાગણીઓ દુભાઈ હોવાથી તેમણે આ પગલું ભર્યું. તે પાર્ટીના કોઈ હોદ્દા પર નથી, એમ તેમણે ફરી સ્પષ્ટતા કરી. સાથે જ લોકમુખે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે તેમની AAPના નેતા હેમંત ખવાના સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે, જેથી રાજકીય સંબંધને લઈને ગૂંચવણ વધી રહી છે.
'સારો સ્ટેન્ડ’ લેવા...'
વધુમાં તેમણે કહ્યું કે, કેટલાક વર્તુળોમાં તો એવી ચર્ચા પણ છે કે ‘સારો સ્ટેન્ડ’ લેવા અથવા ધ્યાન ખેંચવા માટે પણ આ કૃત્ય કર્યું હોઈ શકે. જોકે, કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ સમગ્ર ઘટનાનો કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી અને છત્રપાલસિંહનું વર્તન તેમની વ્યક્તિગત લાગણીઓનું પરિણામ છે.






