Home Gujarat Ahmedabad Jagdish Vishwakarma Yoga Camp Odhav Ahmedabad

અમદાવાદનાં ઓઢવમાં યોજાલી યોગ શિબિરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે કર્યા યોગ : સ્વસ્થ કાયા, સશક્ત સમાજના સંકલ્પની જગદીશ વિશ્વકર્માની અપીલ

જગદીશ વિસ્વકર્માની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 25, 2026, 08:59 AM IST

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આગામી 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદર્ભે આયોજિત યોગ શિબિરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ યોગ શિબિરમાં તેમણે નાગરિકો સાથે યોગાભ્યાસ કરી યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી હતી.

યોગ શિબિર દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો, યોગપ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ‘સ્વસ્થ કાયા, સશક્ત સમાજ’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. યોગ દ્વારા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને છે અને નિરોગી જીવન જીવવા માટે યોગ અત્યંત જરૂરી હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ યોગાભ્યાસમાં સહભાગી થઈ લોકોને નિયમિત યોગ કરવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજના વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં યોગ વ્યક્તિને માનસિક શાંતિ, ઉર્જા અને આરોગ્ય પ્રદાન કરે છે. તેથી દરેક નાગરિકે યોગને પોતાના રોજિંદા જીવનનો હિસ્સો બનાવવો જોઈએ.

આ પણ વાંચો: વાયરલ ક્લિપ મુદ્દે મહેસાણાના રાજકારણમાં ગરમાવો : ભાજપ નેતા પિન્ટુ પટેલની અટકાયત

પ્રધાનમંત્રી મોદીના યોગ પ્રચારના પ્રયાસોની પ્રશંસા

કાર્યક્રમને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ભારતની પ્રાચીન યોગ પરંપરાને વૈશ્વિક ઓળખ અપાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોથી જ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં માન્યતા મળી અને આજે વિશ્વના અનેક દેશોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ માત્ર કસરત નથી પરંતુ સમગ્ર જીવનશૈલીને સંતુલિત બનાવતું વિજ્ઞાન છે. યોગથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, માનસિક તણાવ ઓછો થાય છે અને શરીર વધુ સક્રિય બને છે. તેથી સમાજમાં યોગ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ લાવવી જરૂરી બની ગઈ છે.

પ્રદેશ અધ્યક્ષશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પોતાના પરિવારજનો અને આસપાસના લોકોને પણ યોગ માટે પ્રેરિત કરે જેથી સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં યોગ પ્રત્યે રસ વધારવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના શિક્ષણ વિભાગમાં બમ્પર ભરતી : વિદ્યાસહાયકથી મુખ્ય શિક્ષક સુધીની જગ્યાઓ માટે આ તારીખથી અરજી શરૂ

ગુજરાત સરકાર યોગ ક્ષેત્રે કરી રહી છે વ્યાપક કામગીરી

જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર યોગ ક્ષેત્રે વ્યાપક કામગીરી કરી રહી છે. રાજ્યભરમાં યોગ શિબિરો, તાલીમ કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાન દ્વારા લોકો સુધી યોગનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.

તેમણે રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક યોગ શિક્ષકો તૈયાર કરવામાં આવ્યા છે, જે લોકો સુધી યોગનું જ્ઞાન પહોંચાડી રહ્યા છે. તેમના પ્રયાસોથી ગામડાંથી લઈને શહેરો સુધી યોગ પ્રત્યે સકારાત્મક વાતાવરણ સર્જાઈ રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન યોગ નિષ્ણાતો દ્વારા વિવિધ યોગાસનો અને પ્રાણાયામ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ રાજ્યમાં તૈયારીઓ તેજ

આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોગ શિબિરો અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળાઓ, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને સરકારી વિભાગો દ્વારા યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો થઈ રહ્યા છે. કોરોના મહામારી બાદ લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે અને તેના કારણે યોગ તરફ લોકોનો ઝોક પણ વધ્યો છે. નિયમિત યોગ દ્વારા જીવનશૈલી સાથે જોડાયેલા અનેક રોગો સામે લડવામાં મદદ મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now