મધ્ય પૂર્વમાં વધતી યુદ્ધ સ્થિતિ વચ્ચે Iran માં ફસાયેલા ભારતીયોને લઈને સાંસદ હરિ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સાંસદ હરિ પટેલે જણાવ્યું કે ઇરાનની હાલની પરિસ્થિતિને કારણે ગુજરાતના તેમજ મહેસાણાના ઘણા લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 45 લોકો ફસાયા હોવાની રજૂઆત સાંસદ કાર્યાલયને મળી છે.
વિશેષ હેલ્પલાઇન શરૂ
ફસાયેલા નાગરિકોની મદદ માટે સાંસદ કાર્યાલય દ્વારા વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ફસાયેલા લોકોની તમામ વિગતો એકત્રિત કરીને વિદેશ મંત્રાલય તથા જિલ્લા કલેક્ટરને મોકલી આપવામાં આવી છે.
સાંસદના જણાવ્યા મુજબ, એરસ્પેસ ખુલતા જ તમામ નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સતત પ્રયાસરત છે.
દુબઈમાં પણ કેટલાક નાગરિકો ફસાયા
સાંસદને દુબઈમાં પણ કેટલાક ગુજરાતી નાગરિકો ફસાયા હોવાની માહિતી મળી છે. તેમાં બહુચરાજી APMC ના પૂર્વ ચેરમેન વિજય પટેલ તેમના પરિવાર સહિત કુલ આઠ લોકો દુબઈમાં અટવાયા હોવાની માહિતી છે. સાંસદ હરિ પટેલે વિજય પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમની હાલત અંગે જાણકારી મેળવી છે.
હાલ તમામ ફસાયેલા લોકો સુરક્ષિત હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પરિસ્થિતિ સામાન્ય થતા જ તેમને વતન પરત લાવવા માટે સરકાર પગલાં ભરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાંસદે જણાવ્યું કે, હજુ પણ લોકોને કોઈ નાની મોટી મુશ્કેલી હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક કરી શકે છે, શક્ય તેટલી મદદરૂપ થવા અમારી પૂરેપૂરી તૈયારી છે.



















