સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે નર્મદા એકતા નગર ખાતે યોજાઈ રહેલી રાષ્ટ્રીય એકતા પરેડમાં ગુજરાત કેડરના IPS સુમન નાલાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પરેડમાં પ્રથમ વખત મુવીંગ પરેડ (Moving Parade)નું આયોજન કરવામાં આવ્યું છે, જેના સંચાલનની જવાબદારી IPS સુમન નાલાએ સંભાળી છે.
સુમન નાલા છેલ્લા એક મહિના થી સતત પ્રેક્ટિસ કરીને ટુકડીઓનું તાલીમ સંચાલન કરી રહ્યા હતા, અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી પરેડમાં તેમણે ઉત્કૃષ્ટ નેતૃત્વ આપ્યું.
બનાસકાંઠામાં આદિવાસીઓના પુનર્વાસમાં નોંધપાત્ર યોગદાન
IPS સુમન નાલાએ પોલીસ સેવા પહેલાં પણ માનવતા અને ન્યાય માટે અદભૂત કામગીરી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં 12 વર્ષથી સામાજિક બહિષ્કારનો સામનો કરી રહેલા 29 આદિવાસી પરિવારોનું પુનર્વાસ કરાવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. 300થી વધુ આદિવાસી લોકોના જીવનમાં તેમણે નવો પ્રકાશ લાવ્યો છે.
તેમના પ્રયત્નોથી આ પરિવારોને સમાજમાં ફરી સ્થાન અને માન-અધિકાર મળ્યા. આ માટે સ્થાનિક સ્તરે તેમની પ્રશંસા કરવામાં આવી હતી.
એન્જિનિયરથી IPS સુધીનો પ્રેરણાદાયી સફર
સુમન નાલા વર્ષ 2021 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે કેટલાક વર્ષો સુધી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરી હતી. છતાં સમાજસેવા માટેના જુસ્સાથી પ્રેરાઈને તેમણે UPSC ની તૈયારી શરૂ કરી.
પ્રથમ ત્રણ પ્રયાસ નિષ્ફળ ગયા છતાં તેમણે હાર માન્યા વગર સતત પ્રયાસ કર્યો. ચોથા પ્રયાસમાં 508મી રેન્ક સાથે UPSC પાસ કરીને IPS બન્યા, અને આજે તેઓ રાષ્ટ્રીય સ્તરની પરેડનું નેતૃત્વ કરી રહ્યા છે.
આ વર્ષની પરેડમાં IPS સુમન નાલા અને અન્ય યુવા અધિકારીઓની હાજરીએ રાષ્ટ્રીય એકતા દિવસને વધુ અર્થપૂર્ણ બનાવ્યો છે. સુમન નાલાનો પ્રવાસ માત્ર એક અધિકારીની સફળતા નથી, પરંતુ એ સંદેશ છે કે દૃઢ સંકલ્પ અને માનવતાની ભાવના સાથે કોઈ પણ સપનું શક્ય છે.






