Subhash Bridge Case: અમદાવાદના સુભાષ બ્રિજની હાલત અંગે શહેરમાં ઉભી થયેલી ચર્ચા વચ્ચે બુધવારે મહત્ત્વનો નિર્ણય આવવાની શક્યતા છે. AMCના ઉચ્ચતર સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં ખાનગી એજન્સી દ્વારા બ્રિજના વિવિધ સ્પાનના સેમ્પલ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. બોટ મારફતે બ્રિજની નીચે જઈ દરેક સ્પાનનું ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે. તપાસનો આ પ્રાથમિક તબક્કો આજે પૂર્ણ થવાની ધારણા છે, જ્યારે આવતીકાલ બપોર અથવા સાંજ સુધીમાં તમામ સેમ્પલનું પરીક્ષણ પૂરું થઈ જશે.
સુભાષ બ્રિજ મામલે મહત્વનો વળાંક
સૂત્રો જણાવે છે કે તપાસ એજન્સી 24 કલાકમાં પોતાનો રિપોર્ટ AMC ને સોંપશે. બુધવારના રોજ રિપોર્ટ મળી જશે ત્યારબાદ AMC દ્વારા સુભાષ બ્રિજના કયા સ્પાન ક્ષતિગ્રસ્ત છે, કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે અને રિપેરિંગની કેટલી જરૂરિયાત છે તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. સુભાષ બ્રિજ પર ખાનગી એજન્સીના અધિકારીઓ, જેમાં ડૉ. રવિ કિરણની ટીમ પણ સામેલ છે, સ્થળ પર પહોંચી ગઈ છે અને તેઓ વિસ્તૃત તપાસ કરી રહ્યા છે. હાલમાં બ્રિજનું સંપૂર્ણ ડિટેલ ઇન્સ્પેક્શન ચાલુ હોવાથી રિપોર્ટ આજે જાહેર નહીં થાય.
તપાસ રિપોર્ટ મળ્યા બાદ લેવાશે નિર્ણય
આ ઉપરાંત IIT મુંબઇ અને SVNIT ના નિષ્ણાંતોએ પણ બ્રિજનું શારીરિક નિરીક્ષણ કર્યું છે. તપાસ રિપોર્ટ મળ્યા બાદ બંને સંસ્થાઓ પોતાનો ટેકનિકલ અભિપ્રાય આપશે, જે આધાર પર બ્રિજની ઉપયોગી સ્થિતિ અને રિપેરિંગની યોજના નક્કી થશે. સૂત્રોના મતે બ્રિજ રિપેરિંગ પ્રક્રિયા શરૂ થશે ત્યારબાદ પૂરેપૂરી મરામતમાં 2 થી 3 મહિના જેટલો સમય લાગી શકે છે. સુભાષ બ્રિજ અંગેનો AMCનો અંતિમ નિર્ણય હવે બુધવારે જાહેર થશે એ નિશ્ચિત છે, જે બાદ શહેરના વાહનવ્યવહાર પર પણ અસર થવાની શક્યતા છે.





















