Indigo Flight Crisis Continues : અમદાવાદ અને વડોદરા એરપોર્ટ પર આજે ફરી એક વખત ફ્લાઈટ્સ રદ થવાના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે. ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને મુસાફરોને થતી મુશ્કેલીઓ બદલ માફી માંગી છે. આજે 6 વાગ્યા સુધીમાં કુલ 25 ફ્લાઈટ્સ રદ થઈ છે. માત્ર વડોદરા એરપોર્ટ પરથી જ 6 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર રાત્રીના 12 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી 7 અરાઇવલ અને 12 ડીપાર્ચર ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે.
સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો
ફ્લાઈટ રદ થાય તે પછી મુસાફરોના વધતા દબાણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે તાત્કાલિક નિર્ણય લઈ અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન સાબરમતીથી દિલ્હી જંક્શન સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નં. 09497/09498 સુપરફાસ્ટ સ્પેશિયલ કુલ 4 ટ્રિપ્સ કરશે, જેથી ફ્લાઈટ કેન્સલ થવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરોને વિકલ્પરૂપ સુવિધા મળી શકે.
15 ડિસે. સુધી મુસાફરોને હાલાકી ભોગવવી પડી શકે
પરિસ્થિતિને જોતા શક્યતા છે કે 15 ડિસેમ્બર સુધી મુસાફરોને આવી હાલાકીનો સામનો કરવો પડી શકે. એરલાઈન્સે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો તેજ કર્યા છે, પરંતુ હાલ પ્રવાસીઓને મુસાફરી આયોજન કરતા પહેલાં એરપોર્ટ અપડેટ્સ ચેક કરવાની સલાહ આપવામાં આવી છે.





















