અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી T-20 વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારત વિશ્વ વિજેતા બન્યું છે. આ જીતની ઉજવણી આખા દેશમાં થઈ રહી છે, પરંતુ આ મેચ માત્ર રમતગમતની દૃષ્ટિએ જ નહીં, પણ આર્થિક દૃષ્ટિએ પણ સરકાર અને ખાસ કરીને ભારતીય રેલવે માટે 'જેકપોટ' સાબિત થઈ છે. સુરત, મુંબઈ અને પુણેથી અમદાવાદ સુધી દોડાવવામાં આવેલી સ્પેશિયલ ટ્રેનોએ રેલવેની તિજોરી છલકાવી દીધી છે. ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ઉમટેલા હજારો ક્રિકેટપ્રેમીઓને કારણે રેલવે તંત્રને માત્ર ગણતરીના દિવસોમાં જ લાખોની આવક થઈ છે. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, વર્લ્ડ કપની ફાઈનલ મેચ રેલવે વિભાગને ફળી છે. સુરતથી અમદાવાદ સુધીના ટ્રેક પર દોડતી તમામ સ્પેશિયલ ટ્રેનો 100 ટકા ક્ષમતા સાથે હાઉસફુલ રહી હતી, જેણે સાબિત કરી દીધું કે, ભારતની જીતની સાથે સાથે પરિવહન વ્યવસ્થામાં પણ મોટો ઉછાળો આવ્યો છે.
રેલવેની તિજોરીમાં 70 લાખનો ઉમેરો: 5 સ્પેશિયલ ટ્રેનો બની આકર્ષણનું કેન્દ્ર
ક્રિકેટ ફીવરનો સીધો લાભ ભારતીય રેલવેને મળ્યો છે. અહેવાલો મુજબ, 7 અને 8 માર્ચના રોજ દોડાવવામાં આવેલી 5 સ્પેશિયલ ટ્રેનો દ્વારા રેલવેને 70 લાખ રૂપિયાની જંગી આવક થઈ છે. આ ટ્રેનોમાં કુલ 5318 ક્રિકેટપ્રેમીઓએ મુસાફરી કરી હતી. મુંબઈ અને પુણેથી આવતી ટ્રેનો તો સ્ટેશનથી ઉપડતા જ હાઉસફુલ થઈ ગઈ હતી. મુસાફરોની આ ભીડને કારણે પ્લેટફોર્મ ટિકિટ અને અન્ય આનુષંગિક સેવાઓ દ્વારા પણ સરકારને મોટો ફાયદો થયો છે.
સુરતથી અમદાવાદ સુધી 'ક્રિકેટ કાર્નિવલ': સ્પેશિયલ ટ્રેનમાં વિજય ઉત્સવ
સુરતથી 100 થી વધુ ક્રિકેટપ્રેમીઓનું ગ્રુપ એકસાથે તિરંગા સાથે અમદાવાદ પહોંચ્યું હતું. આ મુસાફરી દરમિયાન ટ્રેનની અંદર જ જે રીતે દેશભક્તિના નારા લાગ્યા અને મેચ જીત્યા બાદ જે પ્રકારે પરત ફરતી વખતે ઉજવણી થઈ, તેણે સ્પેશિયલ ટ્રેનને વિજય રથમાં ફેરવી દીધી હતી. રેલવે દ્વારા કરવામાં આવેલી ખાસ વ્યવસ્થા અને આરામદાયક મુસાફરીને કારણે યુવાનો અને પરિવારોએ આ સુવિધાનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો, જેની સીધી સકારાત્મક અસર સરકારી રેવન્યુ પર પડી છે.
આ અંગે ઉત્સાહી ક્રિકેટપ્રેમીઓએ જણાવ્યું હતું કે, ભારત ફાઇનલમાં પહોંચતા જ તેઓએ મેચ જોવા માટે પહેલેથી જ આયોજન કરી દીધું હતું. કેટલાક લોકોએ મિત્રો સાથે ગ્રુપ બનાવી મુસાફરી કરી હતી તો કેટલાક પરિવાર સાથે આવ્યા હતા. તમામમાં એક જ લાગણી હતી,ટીમ ઈન્ડિયા જીતે અને દેશનું ગૌરવ વધે. આ રીતે સુરતથી અમદાવાદ સુધીની આ મુસાફરી માત્ર ટ્રેન સફર નહોતી, પરંતુ ક્રિકેટપ્રેમીઓ માટે એક યાદગાર અનુભવ બની રહી છે.
ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે સરકારને થયો મોટો ફાયદો
બીજી તરફ વર્લ્ડ કપની ફાઈનલ મેચને કારણે માત્ર રેલવે જ નહીં, પરંતુ એકંદર પરિવહન વ્યવસ્થાને વેગ મળ્યો છે. સુરતથી અમદાવાદ વચ્ચેની સ્પેશિયલ ટ્રેનોને મળેલા પ્રતિસાદથી સરકાર ઉત્સાહિત છે. આ પ્રકારના મોટા આયોજનોથી પ્રવાસન અને પરિવહન ઉદ્યોગને જે બૂસ્ટ મળે છે, તેનું ઉત્તમ ઉદાહરણ આ મેચ દરમિયાન જોવા મળ્યું. ભારતની જીત બાદ પરત ફરતી વખતે પણ ચાહકોએ ઉત્સાહભેર આ ટ્રેનોનો ઉપયોગ કર્યો, જેનાથી રેલવે તંત્રને અપેક્ષા કરતા વધુ આર્થિક લાભ થયો છે.
વિજય બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સુરત સુધી જનસાગર
મેચ પૂર્ણ થયા બાદ સ્ટેડિયમમાંથી વિજેતા ટીમના નારા લગાવતા ચાહકો જ્યારે રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની હતી. જોકે, વધારાની સ્પેશિયલ ટ્રેનોના આયોજનને કારણે મુસાફરો સુરક્ષિત રીતે પરત ફરી શક્યા હતા. આ આયોજનને કારણે રેલવેને જે આવક થઈ છે, તે આગામી સમયમાં અન્ય મહત્વની ટ્રેનોના ડેવલપમેન્ટ માટે ઉપયોગી સાબિત થશે.















