India vs Afghanistan Series : IPL 2026 ના રોમાંચક સમાપન બાદ ઈન્ડિયન ક્રિકેટ ટીમ ફરી એકવાર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક્ટિવ થશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી જૂન મહિનામાં એક ટેસ્ટ અને ત્રણ ODI મેચની સિરીઝ રમાવાની છે. જોકે, આ સિરીઝ પહેલા ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, ભારતીય સિલેક્ટર્સ આ સિરીઝ માટે ટીમના બે મુખ્ય ખેલાડીઓ, શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહને આરામ આપી શકે છે.
સિલેક્ટર્સનો મોટો નિર્ણય
અજિત અગરકરની આગેવાની હેઠળની BCCI પસંદગી સમિતિ વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહને અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાંથી બાકાત રાખી શકે છે. IPL ની લાંબી સિઝન બાદ ખેલાડીઓની ફિટનેસ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે.
નવા સ્ટેડિયમમાં ઐતિહાસિક ટેસ્ટ
આ પ્રવાસની શરૂઆત મુલ્લાનપુરના નવા સ્ટેડિયમમાં એકમાત્ર ટેસ્ટ મેચથી થશે. ખાસ વાત એ છે કે, આ સ્ટેડિયમ પ્રથમ વખત ટેસ્ટ મેચની યજમાની કરવા જઈ રહ્યું છે. ત્યારબાદ 14 થી 20 જૂન દરમિયાન ત્રણ વનડે મેચોની સિરીઝ રમાશે. આ ટેસ્ટ મેચ WTC નો ભાગ ન હોવાથી સિલેક્ટર્સ આ ટેસ્ટ મેચમાં એક્સપેરિમેન્ટ કરવા માટે તૈયાર છે.
વર્કલોડ મેનેજમેન્ટ કેમ જરૂરી?
જસપ્રીત બુમરાહ અને શુભમન ગિલ બંને અગાઉ ગંભીર ઈજાઓનો સામનો કરી ચૂક્યા છે. જસપ્રીત બુમરાહને પીઠની અને શુભમન ગિલને ગરદનની ઈજા વારંવાર પરેશાન કરે છે. 2027 ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, BCCI આ બંને મહત્વના ખેલાડીઓને લાંબા સમય સુધી ફિટ રાખવા માંગે છે, તેથી બિન-જરૂરી સિરીઝમાં તેમને આરામ આપવામાં આવશે.
આ પણ ખાસ વાંચો : ક્રિસ ગેલ બન્યા T20 ફ્રેન્ચાઇઝી માલિક : યુનિવર્સ બોસની નવી ઇનિંગ્સ શરૂ
નવા ચહેરાઓને તક
સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ડોમેસ્ટિક ક્રિકેટના સ્ટાર ખેલાડીઓ જેવા કે આકિબ નબી, ગુર્નૂર બ્રાર, હર્ષ દુબે, દેવદત્ત પડિકલ અને નીતિશ કુમાર રેડ્ડીને ટેસ્ટ ટીમમાં તક મળી શકે છે. જોકે, રિપોર્ટ્સ અનુસાર, વનડે સિરીઝ માટે શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ ટીમમાં કમબેક કરી શકે છે કારણ કે, ભારત અત્યારથી જ 2027 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરવા માંગે છે.





