યુરોપિયન યુનિયન (EU) સાથે ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ હવે ભારત સરકારનું સંપૂર્ણ ધ્યાન અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધો પર કેન્દ્રિત થયું છે. વિદેશ મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલા 'ઈન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ' પર ટૂંક સમયમાં અંતિમ મહોર લાગી શકે છે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત વ્યાપારિક સમજૂતી અંગેની વાતચીતમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
EU સાથેની ડીલ કોઈ વિકલ્પ નથી પણ પૂરક છે
બુધવાર 28 January 2026ના રોજ સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે યુરોપિયન યુનિયન સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને અમેરિકાના વિકલ્પ તરીકે ન જોવો જોઈએ. ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજાર અત્યંત મહત્વનું છે. યુરોપ સાથેની વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન પણ ભારતે અમેરિકા સાથેનો સંવાદ સતત ચાલુ રાખ્યો હતો. હવે આ દિશામાં માત્ર ટેકનિકલ કામગીરી અને કેટલીક ઔપચારિકતાઓ જ બાકી રહી છે.
ટેરિફ વિવાદનો આવી શકે છે ઉકેલ
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારતીય સામાન પર 50 percent જેટલો આકરો ટેરિફ લાદવામાં આવ્યો હતો. જેમાં રશિયન તેલ ખરીદવા બદલ 25 percent પેનલ્ટીનો પણ સમાવેશ થતો હતો. આ ટેરિફને કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતી (BTA) માં અવરોધ ઉભો થયો હતો. જોકે, હવે ભારતને આશા છે કે નવી સમજૂતી દ્વારા ટેરિફમાં મોટી રાહત મળી શકે છે.
2030 સુધીમાં 500 અબજ ડોલરનો લક્ષ્યાંક
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે અગાઉ સંકેત આપ્યા હતા કે BTA ના પ્રથમ તબક્કાની જાહેરાત ગમે ત્યારે કરવામાં આવશે. આ સમજૂતીનો મુખ્ય હેતુ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વર્ષ 2030 સુધીમાં હાલના 191 અબજ ડોલરથી વધારીને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે. ભારતનું લક્ષ્ય અમેરિકા અને યુરોપ બંનેમાં નિકાસ વધારીને દેશમાં રોજગારી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ આપવાનું છે.





















