ભારત અને દક્ષિણ કોરિયાએ સેમિકન્ડક્ટર, સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કર્યો છે. બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાનો નિશ્ચય વ્યક્ત કર્યો.
વિદેશ મંત્રી એસ. જયશંકર અને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન વચ્ચે થયેલી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. આ પ્રસંગે જયશંકરે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ દક્ષિણ કોરિયાનો આભાર માન્યો અને કહ્યું કે આ ભારત માટે મહત્વપૂર્ણ એકતા છે.
જયશંકરે ઓપરેશન સિંદૂર બાદ દક્ષિણ કોરિયા તરફથી ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળને મળેલા સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો.
દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી હ્યુને કાશ્મીર પૂર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને જણાવ્યું કે દક્ષિણ કોરિયા હંમેશા ભારત સાથે વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગે છે.
બંને દેશોના વિદેશ મંત્રીઓએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની પરિસ્થિતિ અને વૈશ્વિક પડકારો અંગે વિચારવિમર્શ કર્યો અને ભવિષ્યમાં સહકાર વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.




















