Basmati Rice Export Market 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચેની જંગ માત્ર સરહદો, ક્રિકેટના મેદાન કે ડિપ્લોમેસી (રાજદ્વારી મોરચે) સુધી જ સીમિત નથી! બંને દેશો વચ્ચેની આ સ્પર્ધા ખાડી દેશોના સુપરમાર્કેટ્સ અને ડાઇનિંગ ટેબલ સુધી પણ પહોંચી ચૂકી છે. દાયકાઓથી બંને દેશો દુનિયાના સૌથી પ્રીમિયમ ચોખા 'બાસમતી'ના માર્કેટ પર કબજો મેળવવા માટે આમને-સામને છે. આ 'રાઇસ વોર' (ચોખાના યુદ્ધ)નું સૌથી મોટું મેદાન મિડલ ઇસ્ટના (મધ્ય પૂર્વના) દેશો - સાઉદી અરેબિયા, યુએઈ (UAE), ઈરાન અને ઈરાક છે, જ્યાં અત્યાર સુધી લગભગ ભારતનો જ સિક્કો ચાલે છે.
પરંતુ, છેલ્લા કેટલાક સમયથી વેપારની આ લડાઈમાં 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની)માં તણાવના કારણે સપ્લાય ઠપ થઈ ગઈ હતી. હવે, જેવી જૂન મહિનામાં આ દરિયાઈ માર્ગ ફરીથી સંપૂર્ણપણે ખુલવા તરફ આગળ વધી રહ્યો છે, આંતરરાષ્ટ્રીય ચોખા બજારમાં એક નવો સવળાટ શરૂ થઈ ગયો છે.
કતરના ગેસ પ્લાન્ટ દુર્ઘટનાએ ભારતમાં ફેલાવ્યો શોક : 12 ભારતીયો સહિત 13નાં મોત, દૂતાવાસ મદદમાં સક્રિય
કૈનાતની વાર્તા અને ભારતનો દબદબો
ખાસ વાત એ છે કે, પાકિસ્તાનના 'કૈનાત' ચોખા એ એક રીતે ભારતની '1121 બાસમતી' વેરાયટીની જ નકલ છે. આ ખાસ વેરાયટીને ભારતીય કૃષિ વૈજ્ઞાનિક વિજય પાલ સિંહે પોતાના દાદાજીની બાસમતીની ખૂબીઓની યાદીમાંથી પ્રેરણા લઈને તૈયાર કરી હતી. આજે આ જ વેરાયટી ભારતને દર વર્ષે લગભગ ₹25,000 કરોડની કમાણી કરાવી આપે છે. જ્યાં ભારતના સૌથી મોટા બજારો સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાક છે, ત્યાં પાકિસ્તાન મુખ્યત્વે યુએઈ, સાઉદી અરેબિયા અને ઈરાનમાં પોતાના ચોખા વેચે છે.
શું હોર્મુઝ ખુલવાથી ભારતનું ટેન્શન વધશે?
જૂન મહિનામાં મિડલ ઇસ્ટના તણાવ બાદ હવે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ના રસ્તે શિપિંગ સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યું છે. આવા સમયમાં ચોખાના વેપારીઓ વચ્ચે એક મોટો સવાલ તરી રહ્યો છે કે, શું દરિયાઈ માર્ગ સંપૂર્ણપણે ખુલ્યા પછી પાકિસ્તાન નીચી કિંમતોના જોરે મિડલ ઇસ્ટમાં ભારતની બાદશાહતને પડકાર આપી શકશે?
અમેરિકાએ ઈરાનના ઓઈલ વેચાણ પરથી પ્રતિબંધો હટાવ્યા : ભારત પણ આગામી 60 દિવસ ખરીદી શકશે ક્રૂડ
ભારતની ચિંતા પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાનની 'ડ્યુટી ડ્રોબેક સ્કીમ' છે. આ યોજના હેઠળ પાકિસ્તાની નિકાસકારોને ભારે સબસિડી મળી રહી છે, જેનાથી તેઓ ગ્લોબલ માર્કેટમાં ઓછી કિંમતે બાસમતી ઓફર કરી રહ્યા છે. 'ધ હિન્દુ બિઝનેસ લાઇન'ના એક રિપોર્ટ અનુસાર, ભારતીય વેપારીઓને ડર છે કે પાકિસ્તાનના આ સસ્તા ચોખાના કારણે ગ્લોબલ માર્કેટમાં બાસમતીના ભાવ ઘટી શકે છે, જેનાથી ભારતીય બિઝનેસમેનના નફા પર અસર પડી શકે છે.
સબસિડીથી પાકિસ્તાનને કેટલો ફાયદો?
આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયે બાસમતી નિકાસને પ્રોત્સાહન આપવા માટે લોકલ ટેક્સ અને લેવી (સ્થાનિક કરવેરા) પર પણ છૂટ આપવાની યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત 750 ડોલર પ્રતિ ટન કે તેથી વધુ કિંમત પર બાસમતી નિકાસ કરનારાઓને 9% ની ટેક્સ છૂટ આપવામાં આવી હતી. જોકે, આ યોજના આગામી 30 જૂને જ પૂરી થવા જઈ રહી છે.
"જો કરારમાંથી પીછેહઠ કરશે તો જે કરવું પડશે તે કરીશ" : ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી
પરંતુ આંકડા તો કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. પાકિસ્તાની અખબાર 'ડૉન'ના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીમાં સબસિડી મળવા છતાં પાકિસ્તાનની ચોખાની નિકાસમાં 35.38% નો ઘટાડો નોંધાયો હતો. પાકિસ્તાની નિકાસકારોનું માનવું છે કે માત્ર સબસિડી આપવાથી પાયાની સમસ્યાઓ ખતમ થઈ શકતી નથી, કારણ કે દેશમાં ખેતીનો ખર્ચ, બિયારણની નબળી ગુણવત્તા અને પાણીની અછત જેવી મોટી સમસ્યાઓ મોં ફાડીને ઊભી છે.
શું કહે છે ભારતનું પલ્લું?
એક્સપર્ટ્સના મતે, વૈશ્વિક બાસમતી માર્કેટમાં ભારતનો દબદબો એટલો મજબૂત છે કે તે કોઈપણ આંચકાને સહન કરવા માટે સક્ષમ છે.
આંકડા શું કહે છે?
એપ્રિલ 2026 માં ભારતની નિકાસ: 4.7 લાખ ટન બાસમતી ચોખા.
નાણાકીય વર્ષ 2025-26 માં ભારતની કુલ નિકાસ: 65.2 લાખ ટન.
પાકિસ્તાનની વાર્ષિક નિકાસ: માત્ર 10 લાખ ટનની આસપાસ.
આજે 23 જૂન : આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ
આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારત, પાકિસ્તાન કરતાં છ ગણી વધુ બાસમતી એક્સપોર્ટ (નિકાસ) કરે છે. આ જોતાં ભારતની બાદશાહતને હાલમાં કોઈ મોટો ખતરો દેખાતો નથી.





