Heatwave Alert: ભારતના મોટાભાગના રાજ્યોમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ઉત્તરથી લઈને મધ્ય ભારત સુધી ભીષણ હીટવેવના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના 11 રાજ્યોમાં તાપમાનનો પારો 40°C થી 45°C ની વચ્ચે સ્થિર થયો છે. મહારાષ્ટ્રમાં ગરમીના કારણે અત્યાર સુધીમાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો હીટસ્ટ્રોકનો ભોગ બની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાતાવરણ એટલું ગંભીર છે કે વહીવટી તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં 'હીટ એક્શન પ્લાન' લાગુ કરી દેવામાં આવ્યો છે.
માત્ર મનુષ્યો જ નહીં પણ પશુ-પક્ષીઓ પણ આ આકરી ગરમીથી બેહાલ છે. ગરમીની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઉત્તરપ્રદેશના આગ્રામાં તાજમહેલ જોવા આવેલા 6 પ્રવાસીઓ ધોમધખતા તાપમાં બેભાન થઈ ગયા હતા. બીજી તરફ, પ્રાણી સંગ્રહાલયોમાં મૂંગા પ્રાણીઓને રાહત આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં રીંછને ઠંડક આપવા માટે 8 કિલો ફળોનો આઈસ્ક્રીમ પીરસવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ગરમી હજુ વધવાની શક્યતા જોતા હવામાન વિભાગે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.
દિલ્હીની શાળાઓમાં 'વોટર બેલ' અને MPમાં 'વોર્મ નાઇટ'નું એલર્ટ
દિલ્હીમાં પારો 45°C ને વટાવી જવાની શક્યતાને જોતા શિક્ષણ વિભાગે શાળાઓ માટે અનોખી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે દરેક 45 થી 60 મિનિટે શાળામાં ઘંટડી વગાડવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ રહે અને તેઓ ડિહાઇડ્રેશનનો શિકાર ન બને. બીજી તરફ, મધ્યપ્રદેશના 9 જિલ્લાઓમાં પ્રથમ વખત 'વોર્મ નાઇટ' (ગરમ રાત) ની ચેતવણી આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ 27°C થી ઉપર રહેશે, જેના કારણે લોકોને રાત્રે પણ ગરમીથી કોઈ રાહત મળશે નહીં.
આ પણ વાંચો: તેલ સપ્લાય માટે મોટી રાહત! : હોર્મુઝના જીવલેણ તણાવ વચ્ચે પણ ઓઈલ ટેન્કર 'દેશ ગરીમા' સુરક્ષિત પહોંચ્યું ભારત
તાજમહેલમાં પ્રવાસીઓ બેભાન: પર્યટન પર ગરમીની અસર
ગરમીની સૌથી વધુ અસર પર્યટન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. રાજસ્થાનના જયપુર અને ઉદયપુર જેવા પ્રખ્યાત પ્રવાસી સ્થળોએ લોકોની અવરજવર ખૂબ ઓછી થઈ ગઈ છે. આગ્રામાં કાળઝાળ ગરમી વચ્ચે તાજમહેલની મુલાકાતે આવેલા પ્રવાસીઓમાંથી 6 લોકોની તબિયત લથડી હતી અને તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પારો સતત 44°C ની ઉપર રહેતા રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
રેલવે સ્ટેશન પર મિસ્ટિંગ સિસ્ટમ અને બિહારમાં જળ છંટકાવ
રેલવે મુસાફરોને રાહત આપવા માટે છત્તીસગઢના બિલાસપુર રેલવે સ્ટેશન પર આધુનિક 'મિસ્ટિંગ સિસ્ટમ' લગાવવામાં આવી છે, જે પ્લેટફોર્મ પર પાણીનો ઝીણો છંટકાવ કરીને તાપમાન ઘટાડવાનો પ્રયાસ કરે છે. બિહારના સુપૌલમાં પણ નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી ડામરના રસ્તાઓ પરથી નીકળતી ગરમી ઓછી કરી શકાય. બંગાળ અને ઝારખંડમાં પણ વિદ્યાર્થીઓને છત્રી અને ઓઆરએસ (ORS) સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.
એક તરફ હીટવેવ, બીજી તરફ ભારે વરસાદની ચેતવણી
ભારતનું હવામાન હાલ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે. જ્યારે અડધું ભારત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે પૂર્વોત્તર રાજ્યોમાં કુદરતનો અલગ મિજાજ છે. હવામાન વિભાગ (IMD) એ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તાજેતરના વરસાદને કારણે ગુવાહાટીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. દક્ષિણ ભારતના તેલંગાણા અને કર્ણાટકમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે, જે ગરમીથી થોડી રાહત અપાવી શકે છે.
શું છે 'વોર્મ નાઇટ' એલર્ટ?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 4.5 થી 6.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જાય અને દિવસનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ હોય, ત્યારે તેને 'વોર્મ નાઇટ' કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં પૃથ્વી દિવસ દરમિયાન ગ્રહણ કરેલી ગરમી રાત્રે મુક્ત કરી શકતી નથી, જેના પરિણામે રા





