India Oil Tanker: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર તણાવ અને હોર્મુઝ સામુદ્રધુનીમાં IRGCના ગોળીબાર વચ્ચે પણ ભારતીય ક્રૂડ ઓઈલ ટેન્કર 'દેશ ગરીમા' સુરક્ષિત રીતે સામુદ્રધુની પાર કરીને ભારત આવી પહોંચ્યું છે. આ ઘટના સાથે તણાવના સમયગાળા દરમિયાન હોર્મુઝ પાર કરનારું આ 10મું ભારતીય જહાજ બન્યું છે.
મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ લઈને આવ્યું 'દેશ ગરીમા'
આ જહાજમાં 97,000 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ છે અને તેમાં 31 ભારતીય ખલાસીઓ સવાર છે. તે 18 એપ્રિલે હોર્મુઝથી રવાના થયું હતું અને હાલમાં મુંબઈ કિનારેથી થોડા નોટિકલ માઈલ દૂર લંગર પર છે. અપેક્ષા છે કે તે 22 એપ્રિલે મુંબઈ પોર્ટ પહોંચી જશે. આ સુરક્ષિત આગમન ભારતમાં ઈંધણની અછતને દૂર કરવામાં મહત્વની રાહત આપશે, કારણ કે હોર્મુઝ સામુદ્રધુની વૈશ્વિક તેલ વેપારનું મુખ્ય માર્ગ છે.
તણાવ વચ્ચે પણ સફર ચાલુ રાખી
જહાજે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતી વખતે કોઈ અકસ્માત વિના સફર પૂરી કરી. આ દરમિયાન IRGC દ્વારા અન્ય બે ભારતીય જહાજો VLCC સન્માર હેરાલ્ડ અને બલ્ક કેરિયર જગ અર્નવ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તે બંને જહાજોને પાછા ફરવું પડ્યું હતું. જોકે, કોઈ ખલાસી ઘાયલ થયા ન હતા.ભારતે આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો અને ઈરાન પાસે ભારતીય વેપારી જહાજો અને ખલાસીઓની સલામતીની માંગ કરી છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે હોર્મુઝમાં ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ પૂરો પાડવો જોઈએ.
આ પણ વાંચો: ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં! : પહેલગામ હુમલાની પ્રથમ વર્ષગાંઠ પર PM મોદીની કડક ચેતવણી!
ભારત-ઈરાન સંબંધો અને સલામતીની પ્રાથમિકતા
આ ઘટના છતાં ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો ઐતિહાસિક રીતે સારા રહ્યા છે. ભારત સતત તેના વેપારી જહાજો અને ખલાસીઓની સલામતીને પ્રાથમિકતા આપી રહ્યું છે. આ તણાવ વચ્ચે પણ 'દેશ ગરીમા' જેવા જહાજોનું સુરક્ષિત આગમન ભારતીય નૌસેના અને કૂટનીતિની સક્રિયતાનું પ્રતિબિંબ છે. આ ઘટના વૈશ્વિક તેલ પુરવઠા અને આંતરરાષ્ટ્રીય નૌવહનની સુરક્ષા પર પણ પ્રકાશ પાડે છે.





