નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધતા જતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે સમગ્ર વિશ્વ અત્યારે તેલ અને ગેસની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. કાચા તેલના ભાવમાં ઉછાળો આવવા છતાં ભારતમાં સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે. તેલ અને ગેસના આ વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં ઈંધણના સપ્લાયમાં રેશનિંગ (કોટા લાગુ) કરવાની કોઈ જ યોજના નથી. પેટ્રોલિયમ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ સોમવારે આ અંગે ખાતરી આપતા જણાવ્યું હતું કે ભારત પાસે કાચા તેલ અને એલપીજીનો પર્યાપ્ત ભંડાર છે. પેટ્રોલિયમ સચિવ નીરજ મિત્તલે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, "દેશમાં ગભરાવાની કોઈ જરૂર નથી. આપણી પાસે પૂરતો પુરવઠો છે અને રેશનિંગ જેવી કોઈ સ્થિતિ સર્જાવાની નથી." સરકારે સપ્લાય ચેઈન સાથે જોડાયેલા જોખમોને મેનેજ કરવા માટે આયાતના સ્ત્રોતોમાં વિવિધતા લાવી છે, જેથી કોઈ એક દેશ પર નિર્ભરતા ન રહે.
ભારતમાં કેટલા દિવસનો પેટ્રોલ-ડીઝલનો સ્ટોક બાકી?
સરકારી ડેટા અનુસાર, ભારતે અત્યારે ઈંધણની સુરક્ષા માટે મજબૂત વ્યૂહરચના અપનાવી છે. પેટ્રોલિયમ સચિવે જણાવ્યું કે ભારતે હાલમાં લગભગ 60 દિવસનો ઈંધણ (પેટ્રોલ અને ડીઝલ) સ્ટોક અને અંદાજે 45 દિવસનો એલપીજી (LPG) સ્ટોક જાળવી રાખ્યો છે. આ આંકડો દર્શાવે છે કે જો વૈશ્વિક સ્તરે સપ્લાયમાં થોડો વિક્ષેપ પડે તો પણ ભારત બે મહિના સુધી આરામથી ચાલી શકે તેમ છે.
આ પણ વાંચો: Gold Silver Price Today : PM ની અપીલ બાદ સોના-ચાંદીના માર્કેટમાં સતત કડાકો, જાણો આજનો લેટેસ્ટ દર
પીએમ મોદીની અપીલ અને અટકળોનું બજાર
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વપરાશમાં કરકસર કરવા અને આયાત ઘટાડવા માટે આહ્વાન કર્યું હતું. વધતી જતી વૈશ્વિક ઉર્જા કિંમતોને કારણે વિદેશી હૂંડિયામણ પર પડી રહેલા દબાણને જોતા વડાપ્રધાને નાગરિકોને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી હતી. આ નિવેદન બાદ એવી અટકળો તેજ થઈ હતી કે સરકાર કદાચ ભાવ વધારવાની તૈયારીમાં છે અથવા રેશનિંગ લાગુ કરશે, પરંતુ મંત્રાલયે હવે આવી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાયા! : જાણો શું છે તમારા શહેરમાં ઈંધણનો ભાવ?
કિંમતો અને સપ્લાય સ્થિર રાખવી એ સરકારની પ્રાથમિકતા
પશ્ચિમ એશિયા સંકટ શરૂ થયા બાદ કાચા તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો હોવા છતાં, ભારતમાં પેટ્રોલ અને ડીઝલ જૂના ભાવે જ વેચાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પડતર કિંમતમાં 50 ટકાથી વધુનો વધારો થયો હોવા છતાં કિંમતો સ્થિર રાખવાને કારણે પેટ્રોલિયમ કંપનીઓને દરરોજ 1,000 કરોડથી 1,200 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આમ છતાં, સરકારનું લક્ષ્ય સામાન્ય જનતા પર બોજ ન વધે તે માટે કિંમતો અને સપ્લાયને સ્થિર રાખવાનું છે. સરકારે વધારાનો ઉર્જા જથ્થો સુરક્ષિત કર્યો છે અને અસ્તિત્વમાં રહેલા સપ્લાયર્સ પાસેથી ખરીદી વધારી દીધી છે. ઉપરાંત, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા જેવા પગલાં દ્વારા સરકારે ભાવ વધારાનો ઝટકો પોતે સહન કર્યો છે, જેથી ગ્રાહકોને રાહત મળી શકે.





