જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે તેમના પક્ષના સભ્યોને કહ્યું હતું કે જો જેલમાં તેમની સાથે કંઈ પણ અપ્રિય ઘટના બને છે તો તેના માટે આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર જવાબદાર રહેશે. ક્રિકેટરથી રાજકારણી બનેલા ખાન ઓગસ્ટ 2023 થી અનેક કેસોમાં જેલમાં છે. ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) શાહબાઝ શરીફ સરકાર અને સેના પર દબાણ લાવવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ ખાનને મુક્ત કરવા માટે 5 ઓગસ્ટથી દેશભરમાં એક મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
જેલમાં ઇમરાન સાથે શું થઈ રહ્યું છે?
ઈમરાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું "તાજેતરના દિવસોમાં જેલમાં મારી સાથે કરવામાં આવતો કઠોર વ્યવહાર વધુ વધ્યો છે. મારી પત્ની બુશરા બીબી સાથે પણ આ જ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તેમના સેલમાં ટીવી પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અમારા બંનેના તમામ મૂળભૂત અધિકારો ભલે તે માનવીય હોય કે કાનૂની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખાને કહ્યું કે "આ માટે જવાબદારી હોવી જોઈએ." તેમણે દાવો કર્યો કે તેઓ સંપૂર્ણપણે વાકેફ છે કે એક કર્નલ અને જેલ સુપરિન્ટેન્ડેન્ટ "અસીમ મુનીરના આદેશ પર" આવી કાર્યવાહી કરી રહ્યા છે.
'અસીમ મુનીર જવાબદાર રહેશે'
પૂર્વ વડા પ્રધાને કહ્યું "હું મારી પાર્ટીને સ્પષ્ટ સૂચના આપું છું કે જો મને જેલમાં કંઈ થાય છે તો અસીમ મુનીરને જવાબદાર ઠેરવવામાં આવે." તેમણે કહ્યું "હું મારું આખું જીવન જેલમાં વિતાવવા તૈયાર છું પરંતુ જુલમ સામે ઝૂકવાનો કોઈ પ્રશ્ન જ નથી." પાકિસ્તાનના લોકોને મારો એક જ સંદેશ છે કોઈપણ સંજોગોમાં આ દમનકારી વ્યવસ્થા સામે ન ઝૂકો."
ખાને મોટી વાત કહી
ઈમરાન ખાને એમ પણ કહ્યું કે દોષિત ખૂનીઓ અને આતંકવાદીઓને પણ તેમના કરતા સારી સ્થિતિમાં રાખવામાં આવે છે. એક સૈન્ય કર્મચારીનું નામ લેતા તેમણે કહ્યું કે તેમને "જેલમાં VIP ટ્રીટમેન્ટ" આપવામાં આવી રહી છે. પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ અને સંઘીય ગૃહમંત્રી મોહસીન નકવીની ટીકા કરતા ખાને કહ્યું કે બંનેએ છેલ્લા બે વર્ષથી પંજાબના લોકોમાં જુલમ અને ફાસીવાદનું વાતાવરણ ઉભું કર્યું છે. ખાનની બહેન અલીમા ખાને પણ પત્રકારોને જણાવ્યું હતું કે ઈમરાન ખાને પાર્ટીના સભ્યોને સંદેશ આપ્યો છે કે જો જેલમાં તેમને કંઈ થાય છે તો તેના માટે જનરલ અસીમ મુનીર જવાબદાર હોવા જોઈએ.






