Gujarat Vidhansabha: વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા લાંબા સમયથી યેનકેન પ્રકારે DyCM હર્ષ સંઘવીના શિક્ષણને લઈને નિવેદનો આપતા રહે છે. આજે ફરી એકવાર ઈટાલિયાએ આ મુદ્દે નિવેદન આપ્યું અને મામલો એકાએક ગરમાયો. કારણકે અત્યાર સુધી ગોપાલ ઈટાલિયા સોશિયલ મીડિયામાં આવી નિવેદનબાજીઓ કરતા હતા. પણ આજે પહેલીવાર ઈટાલિયાએ વિધાનસભા ગૃહમાં આ પ્રકારે DyCM હર્ષ સંઘવી પર ટિપ્પણી કરતા ભારે વિવાદ છેડાયો છે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન આજે શિક્ષણના મુદ્દે ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા Gopal Italiaએ નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviના ભણતર મુદ્દે આડકતરી ટિપ્પણી કરતા ગૃહમાં રાજકીય તણાવ સર્જાયો હતો. આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ ગોપાલ ઇટાલિયાને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.
વિધાનસભા ગૃહમાં બોલતાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, “હું ગ્રેજ્યુએટ છું, BA.LLB કર્યું છે અને મને ગર્વ છે કે હું ભણ્યો છું. હું 8 પાસ નથી.” તેમના આ નિવેદનને નાયબ મુખ્યમંત્રી પર આડકતરી ટિપ્પણી તરીકે જોવામાં આવ્યું હતું, જેના કારણે ગૃહમાં વિરોધ પક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો હતો.
ગોપાલ ઇટાલિયાના આ નિવેદનનો જવાબ આપતાં ગુજરાત સરકારના મંત્રી Jitu Vaghaniએ કહ્યું હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી Keshubhai Patel માત્ર ચાર ધોરણ સુધી ભણેલા હતા. તેમ છતાં તેમણે રાજ્ય માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે ગોપાલ ઇટાલિયા જ્યારે જરૂર પડતી ત્યારે કેશુબાપાના આશીર્વાદ લેવા જતા હતા અને ત્યારે તેમના ઓછા ભણતર પર કોઈ વાંધો નહોતો.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક કહેવાતા ભણેલા લોકો ગૃહમાં હાજર છે, પરંતુ તેમના વર્તન પરથી એવું લાગતું નથી કે તેઓએ પોતાના અભ્યાસક્રમમાંથી કંઈ શીખ્યું છે. BA.LLB જેવા અભ્યાસક્રમમાં વિધાનસભામાં કોઈ પર જુતું ફેંકવાનું શીખવવામાં આવે છે કે નહીં તે અંગે પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે કાયદાની ચર્ચા થતી હોય ત્યારે કોઈ પર જુતું ફેંકવું યોગ્ય નથી. તેમણે ગોપાલ ઇટાલિયાના જૂના વિવાદોને યાદ અપાવતા કહ્યું કે મુદ્દાને ડાયવર્ટ કરવાની તાલીમ કદાચ તેમને દિલ્હીમાથી મળતી હશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ગોપાલ ઇટાલિયા વિવાદોમાં આવ્યા હતા, જ્યારે તેમણે રાજ્યમાં પ્રોહિબિશન કાયદાના નબળા અમલ અંગે તે સમયના નાયબ મુખ્યમંત્રી Nitin Patelને ફોન કર્યો હતો અને તેનો ઓડિયો વાયરલ થયો હતો. આ મામલે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
તે જ વર્ષમાં ગુજરાત વિધાનસભા બહાર તત્કાલીન ગૃહમંત્રી Pradipsinh Jadeja પર જૂતું ફેંકવાની ઘટના પણ સામે આવી હતી. રાજ્યમાં ભ્રષ્ટાચારના વિરોધમાં ગોપાલ ઇટાલિયાએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાએ તેમને રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બનાવી દીધા હતા અને તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આજની વિધાનસભા બેઠક દરમિયાન થયેલા આ શાબ્દીક યુદ્ધના લીધે ગૃહનું વાતાવરણ તંગ બન્યું હતું અને શિક્ષણના મુદ્દે રાજકીય ટકરાવ વધુ તીવ્ર બન્યો હતો.


















