Veraval Crime News : ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના ડારી ગામેથી એક ચકચાર મચાવી દેનારી ઘટના સામે આવી છે. પત્નીની નિર્મમ હત્યા કરી ફરાર થયેલા પતિ વિનોદ ધોળીયાનો મૃતદેહ આજે વહેલી સવારે મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ગઈકાલે વિનોદ ધોળીયાએ પોતાની પત્ની પર છરીના આડેધડ ઘા મારીને નિર્મમ હત્યા કરી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પત્ની હત્યા કરી પતિએ કર્યું આપઘાત
આ દરમિયાન આજે વહેલી સવારે ડારી ગામના કબ્રસ્તાન પાસે આવેલા પીરવાળા પીરની દરગાહ નજીકથી વિનોદ ધોળીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તારણ મુજબ, તેણે દવા પી આપઘાત કરી લીધો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મૃતદેહ મળ્યાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સાથે જ LCB, પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્ક્વોડ સહિતની પોલીસ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
સ્યુસાઇડ નોટ પણ મળી!
મૃતદેહની નજીકથી સ્યુસાઇડ નોટ પણ મળી હોવાની ચર્ચા ચાલી રહી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ કરવામાં આવશે. એક જ પરિવારની આ બે ગંભીર ઘટનાઓએ ડારી ગામ સહિત સમગ્ર પંથકમાં શોક અને અફરાતફરીનું વાતાવરણ સર્જ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.






