Ahmedabad News : વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરના સુંઢિયા ગામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને મોદી સમાજમાં વિરોધનો માહોલ સર્જાયો છે. મેવાણીના આ નિવેદન સામે અમદાવાદમાં મોદી સમાજના આગેવાનો ભારે રોષ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર સોંપીને મેવાણી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
'મોદી સામે મેવાણીનું કોઈ અસ્તિત્વ નથી'
વિરોધ દરમિયાન સમાજના આગેવાનો ગુસ્સે ભરાયેલા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે “મોદી સામે મેવાણીનું કોઈ અસ્તિત્વ નથી. તેમના આકાઓ પણ મોદીજીના શરણે આવી ગયા, તો મેવાણીનું શું આવે?” તેમ કહી તેઓએ જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી માંગણી કરી હતી. સાથે જ ભવિષ્યમાં આવા વાણીવિલાસ ન કરવા માટે ચેતવણી પણ આપી હતી.
જિગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું?
ઉલ્લેખનીય છે કે મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેરસભામાં પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે પીએમ મોદીને “વડનગરની માટીમાંથી પેદા થયેલા ભારતભૂમિના સૌથી મોટા જૂઠા કહીને સંબોધ્યા હતા. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે “જે વ્યક્તિ પોતાના વડનગરનો વિકાસ ન કરી શક્યો તે વિશ્વગુરુ બનવા પ્રયત્ન કરે છે.” મેવાણીના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધ્યો છે અને ભાજપ સમર્થકો તથા મોદી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે આ મુદ્દે રાજકીય ઘમાસાણ વધુ તેજ બનવાની શક્યતા છે.






