NH-48 Accident Breaking: વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજે વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી એક દુર્ઘટના સર્જાઈ છે. કરજણના હલદરવા ગામ પાસે રોડની સાઈડમાં ઊભેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી આર્ટિગા કાર ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલા એક આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની તીવ્રતા જોઈને ત્યાં હાજર રહેલા પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. વહેલી સવારના ગાઢ અંધકારમાં સર્જાયેલી આ ચીચીયારીઓએ હાઈવે પર દોડતા વાહનચાલકોના થંભાવી દીધા હતા. કાર એવી રીતે ટ્રક નીચે ઘૂસી ગઈ હતી કે મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગને ગેસ કટર અને હાઈડ્રોલિક મશીનોનો સહારો લેવો પડ્યો હતો.
સુરતથી ભરૂચ જતી કારને નડ્યો અકસ્માત
મળતી પ્રાથમિક વિગતો મુજબ, સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી આર્ટિગા કાર જ્યારે હલદરવા ગામના પાટિયા પાસે પહોંચી ત્યારે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર બેકાબૂ બનીને હાઈવેની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કારનો ડાબી બાજુનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. જેમાં ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા આકાશ અનિલભાઈ સોલંકી નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: યમુના નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી હોડી પલટી : 8ના કરુણ મોત, 15નું દિલધડક રેસ્ક્યૂ
ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારમાં સવાર ડ્રાઈવર અને બે મહિલા મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાયેલા હતા, જેમને તાત્કાલિક બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. જોકે, મૃતક આકાશનો મૃતદેહ કારના લોખંડના પતરાંમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. કરજણ ફાયર વિભાગે આધુનિક હાઈડ્રોલિક કટરની મદદથી કારના પતરાં કાપીને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.
હાઈવે પર લોહીના ખાબોચિયા, ભયાનક દ્રશ્યો
અકસ્માત સ્થળના દ્રશ્યો એટલા બિહામણા હતા કે જોનારાના કંપારી છૂટી ગઈ હતી. ગાડીની અંદર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને આકાશનું માથું કચડાઈ ગયું હોવાથી સ્થિતિ અત્યંત દયાજનક હતી. હાઈવે પર આ અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસ અને કાર્યવાહી
હાલમાં સાવલી આઉટ પોલીસ મથક દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે અકસ્માત ડ્રાઈવરને ઝોકું આવી જવાને કારણે સર્જાયો કે પછી ઊભી રાખેલી ટ્રક પાસે યોગ્ય સિગ્નલ કે ઈન્ડિકેટર ચાલુ નહોતા. ટ્રક ચાલકની બેદરકારી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.





