Home Minister Amit Shah present at NABARD Summit 2025: ગાંધીનગર ખાતે નાબાર્ડ (NABARD) દ્વારા આયોજિત અર્થ સમિટ 2025 માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે આ સમિટને આંતરાષ્ટ્રીય સહકારીતા વર્ષના ભાગરૂપે દેશભરની અર્થ સમિટનો એક મહત્ત્વનો ભાગ ગણાવ્યો. અમિત શાહે સ્પષ્ટ કર્યું કે, સહકાર ક્ષેત્રને સંપૂર્ણપણે પારદર્શી બનાવવાનું તેમનું મુખ્ય લક્ષ્ય છે. તેમણે સ્વીકાર્યું કે, સહકાર ક્ષેત્ર સામે ખર્ચનો મોટો પડકાર હતો, પરંતુ આ સમિટ તેના ઉકેલ માટે ઘણી ફાયદાકારક સાબિત થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આઝાદીના 100 વર્ષમાં ભારત દરેક ક્ષેત્રે પ્રથમ સ્થાને હશે.
ટેકનોલોજી અને પારદર્શિતા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નાબાર્ડ દ્વારા શરૂ કરાયેલા 'સહકાર સારથી' ના યોગ્ય ઉપયોગની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, આ પ્લેટફોર્મ દ્વારા તમામ ઓનલાઇન સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે સહકાર ક્ષેત્રની નાની સંસ્થાઓ માટે ખૂબ ઉપયોગી છે. આ સાથે તેમણે નાની બેંકોને પણ પોતાની વેબસાઇટ બનાવવાની સૂચના આપી, જેથી ડિજિટલ યુગમાં પારદર્શિતા અને પહોંચ વધારી શકાય.
સહકાર ક્ષેત્રના મહત્ત્વના નિર્ણયો અને એકીકરણ
અમિત શાહે સહકાર ક્ષેત્ર માટે કેટલાક મોટા અને માળખાગત નિર્ણયોની જાહેરાત કરી:
બેંકોનું એકીકરણ: ગ્રામીણ બેંક, અર્બન બેંક અને ખેતી બેંકને ભવિષ્યમાં એક જ છત્રી નીચે લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC): ખેડૂતોને વધુ લાભ મળી શકે તે હેતુથી કિસાન ક્રેડિટ કાર્ડની રેન્જ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
આ નિર્ણયો ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને તેને દેશના અર્થતંત્રમાં એક મહત્ત્વના કોન્ટ્રીબ્યુટર તરીકે સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે લેવામાં આવ્યા છે.
'સહકાર ટેક્સી' અને કો-ઓપરેટિવ ઇન્શ્યોરન્સ
ગૃહ મંત્રીએ સહકાર ક્ષેત્રને આધુનિક સેવાઓ સાથે જોડવાની જાહેરાત કરી:
સહકાર ટેક્સી સર્વિસ: દેશભરમાં સહકાર ટેક્સી સેવા લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં દિલ્હીમાં 51 હજાર ડ્રાઇવરો આ સેવા માટે રજિસ્ટર થયા છે, અને ટૂંક સમયમાં આ સર્વિસ સમગ્ર દેશમાં શરૂ થશે.
કો-ઓપરેટિવ ઇન્શ્યોરન્સ: એક નવી કો-ઓપરેટિવ ઇન્શ્યોરન્સ સેવા પણ શરૂ કરવામાં આવશે. આ કામગીરી માટે દરેક ગામમાં ૩ યુવાનોને જવાબદારી સોંપવામાં આવશે, જે ગ્રામીણ રોજગારને વેગ આપશે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન
દેશના વિકાસ માટે પર્યાવરણને અનુકૂળ ખેતીને મહત્ત્વ આપતા અમિત શાહે જણાવ્યું કે, દેશના 49 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જે માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના લોકો માટે ફાયદાકારક સાબિત થશે.






