ભારતના અવકાશ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ આવવાની છે, જ્યારે ભારતીય વાયુસેનાના અધિકારી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની મુલાકાત લેશે. આ મિશન Axiom મિશન 4 (Ax-4) હેઠળ મે મહિનામાં લોન્ચ કરવામાં આવશે. જેમાં ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ સામેલ થશે. શુભાંશુ શુક્લા આ મિશન હેઠળ અવકાશમાં જનારા પ્રથમ ભારતીય બનશે અને 40 વર્ષ બાદ કોઈપણ ભારતીયનું અવકાશમાં જવાનું સપનું પૂર્ણ થશે. અગાઉ 1984માં રાકેશ શર્માએ સોવિયત સંઘના અવકાશયાનમાં પ્રવાસ કર્યો હતો.
Ax-4 મિશનમાં ભારત, પોલેન્ડ, હંગેરી અને અમેરિકાના અવકાશયાત્રીઓ ભાગ લેશે. આ મિશન હેઠળ શુભાંશુ શુક્લા મિશન પાયલોટ તરીકે અવકાશમાં જશે. તેમની સાથે પોલેન્ડના સ્લાવોજ ઉઝનાન્સ્કી અને હંગેરીના ટિબોર કાપુ મિશન નિષ્ણાતો તરીકે જોડાશે. અમેરિકન અવકાશયાત્રી પેગી વ્હીટસન આ મિશનના કમાન્ડર હશે. આ મિશન 14 દિવસ સુધી ચાલશે. જેમાં વૈજ્ઞાનિક સંશોધન અને તકનીકી પરીક્ષણો હાથ ધરવામાં આવશે.
ડ્રેગન કેપ્સ્યુલથી લોન્ચ કરવામાં આવશે
શુભાંશુ શુક્લા અને તેમના સાથી અવકાશયાત્રીઓ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરશે. આ પ્રક્ષેપણ અમેરિકાના ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરમાંથી ફાલ્કન-9 રોકેટ દ્વારા કરવામાં આવશે. લોન્ચની ચોક્કસ તારીખ NASA અને Axiom Space દ્વારા અંતિમ મંજૂરી પછી જાહેર કરવામાં આવશે.
Ax-4 મિશન શું છે?
Ax-4 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને તકનીકી પરીક્ષણો હાથ ધરવાનો છે. આ મિશન હેઠળ ઘણા મોટા કામો કરવામાં આવશે. ત્યાં તમામ વૈજ્ઞાનિકો માઇક્રોગ્રેવિટીમાં જૈવિક અને ભૌતિક વિજ્ઞાન સંબંધિત પ્રયોગો કરશે. આ સાથે ત્યાં ટેકનિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અવકાશની નવી ટેકનોલોજી અને સાધનોનું પરીક્ષણ કરવામાં આવશે. આ મિશન હેઠળ પૃથ્વી પરના લોકોને અવકાશ વિજ્ઞાન અને સંશોધન વિશે માહિતગાર કરવામાં આવશે.
ચોથી ખાનગી અવકાશ ઉડાન
Axiom Space એ એક ખાનગી અમેરિકન સ્પેસ કંપની છે, જે ભવિષ્યમાં કોમર્શિયલ સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજના પર કામ કરી રહી છે. Axiom એ અત્યાર સુધીમાં ત્રણ અવકાશ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. Axiom-1 મિશન એપ્રિલ 2022 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં 17 દિવસનું અવકાશ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ પછી, મે 2023 માં Ax-2 મિશન અને જાન્યુઆરી 2024 માં Ax-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે Ax-4 મિશન આ શ્રેણીનો ચોથો તબક્કો છે. જેમાં ભારત સહિત ચાર દેશોના અવકાશયાત્રીઓ ભાગ લેશે.
ભારત માટે મોટી સિદ્ધિ
શુભાંશુ શુક્લાનું આ મિશન ભારતના અવકાશ સંશોધન માટે એક મોટી છલાંગ સાબિત થશે. 40 વર્ષ પછી એક ભારતીય અવકાશમાં જઈ રહ્યો છે, જે દેશની વૈજ્ઞાનિક પ્રતિષ્ઠા તો વધારશે જ પરંતુ ભવિષ્યમાં ગગનયાન મિશન અને અન્ય અવકાશ મિશન માટે નવી શક્યતાઓ પણ ખોલશે. આ મિશન ભારતને વૈશ્વિક અવકાશ સંશોધન અને વાણિજ્યિક અવકાશ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક આપશે.






