જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો છે. આ હુમલો પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. હુમલામાં 30 લોકોના મોતની આશંકા છે. જીવ ગુમાવનારા 16 લોકોની ઓળખ થઈ ગઈ છે. ઘાયલ થયેલા 10 લોકોના નામ પણ સામે આવ્યા છે. મૃત્યુ પામેલા લોકો જુદા જુદા રાજ્યોના છે.જેમા સુરતના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
હુમલા બાદ તરત જ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ પોલીસ વર્દીમાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આતંકી હુમલામાં સુરતના એક વ્યક્તિનું મોત થયું છે જેમનું નામ હિંમતભાઈ કથલિયા છે.હુમલાની માહિતી મળ્યા બાદ સાઉદી અરેબિયાની બે દિવસની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી. પીએમએ ઘટના અંગે યોગ્ય કાર્યવાહી કરવા અને જમ્મુ-કાશ્મીર જવાના નિર્દેશ પણ આપ્યા છે. ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે તેઓ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી દુખી છે. મારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.
આ ઘૃણાસ્પદ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમે ગુનેગારોને કડકમાં કડક સજા અપાવીશું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હું તમામ એજન્સીઓ સાથે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા બેઠક યોજવા માટે ટૂંક સમયમાં શ્રીનગર જવા રવાના થઈશ. દરેક ક્ષણ અપડેટ્સ માટે જોડાયેલા રહો...






