Vadodara News: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે. શહેરની જનતાને રીઝવવા અને ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિધિવત રીતે પોતાનો 'ચૂંટણી ઢંઢેરો' (મેનીફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અમદાવાદના પૂર્વ મેયર અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ તથા પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
'ખડોદરા' માંથી મુક્તિનો સંકલ્પ
કોંગ્રેસે આ વખતે વડોદરાની અત્યારની બિસ્માર હાલત પર કટાક્ષ કરતા શહેરને 'ખડોદરા' (ખાડાઓનું શહેર) માંથી મુક્તિ અપાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. મેનીફેસ્ટો જાહેર કરતા નેતાઓએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભાજપના શાસનમાં વડોદરાના રસ્તાઓની હાલત દયનીય બની છે, જેમાંથી જનતાને વહેલી તકે છુટકારો અપાવવામાં આવશે.
મેનીફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ પર એક નજર
કોંગ્રેસે વડોદરાના મતદારો માટે "લોકભોગ્ય અને વિકાસલક્ષી" એજન્ડા રજૂ કર્યો છે, જેમાં નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે..
શુદ્ધ પાણી અને આરોગ્ય: અનેક વોર્ડમાં આવતા દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની ખાતરી.
માળખાગત સુવિધાઓ: ખાડા મુક્ત રસ્તાઓ અને સ્માર્ટ સિટીના નામે ચાલતા અધૂરા પ્રોજેક્ટ્સને વેગ આપવો.
ડ્રેનેજ અને સફાઈ: ગંદા પાણીના નિકાલ માટે આધુનિક ડ્રેનેજ સિસ્ટમ અને શહેરની સ્વચ્છતામાં સુધારો.
કરવેરામાં રાહત: મોંઘવારીના સમયમાં જનતાને ટેક્સના બોજમાંથી રાહત આપવાની મોટી જાહેરાત.
પારદર્શક વહીવટ: વહીવટી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબૂદ કરી 'ભ્રષ્ટાચાર મુક્ત શાસન' આપવાનો વાયદો.
શિક્ષણ અને રોજગાર: સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરવી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને વધુ સજ્જ બનાવવી.
ભાજપ શાસન પર પ્રહાર
આ પ્રસંગે હિંમતસિંહ પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, "વડોદરાની જનતા પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે." જ્યારે પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ઉમેર્યું કે, વડોદરામાં માત્ર કાગળ પર જ વિકાસ દેખાય છે, વાસ્તવિકતામાં જનતા દૂષિત પાણી અને તૂટેલા રસ્તાઓથી પરેશાન છે. વડોદરા કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલ આ મેનીફેસ્ટો શહેરના મધ્યમ અને સામાન્ય વર્ગના પ્રશ્નોને સ્પર્શે તેવો બનાવવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, 'ખડોદરા' મુક્તિ અને શુદ્ધ પાણીના આ વાયદાઓ વડોદરાના મતદારોને કેટલા અંશે પ્રભાવિત કરે છે.





