અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ પર દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીને હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. દુષ્કર્મના એક ગંભીર ગુનાના આરોપી મોઇનુદ્દીન ગુનાના રિકંસ્ટ્રક્શન માટે લઈ જતી વખતે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આરોપી પોલીસની પકડમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન તેણે હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડ પર હુમલો કર્યો હતો, જેના કારણે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી.

PI આરોપી પર ફાયરિંગ કર્યું
દુષ્કર્મનો આરોપી મોઇનુદ્દીન ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પીઆઈ (પોલીસ ઈન્સ્પેક્ટર) ઇમરાન ઘાસુરાએ સમયસૂચકતા વાપરીને આરોપી પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ફાયરિંગમાં એક ગોળી આરોપી મોઇનુદ્દીનના પગમાં વાગી હતી, જેના કારણે તે સ્થળ પર જ તે ઘાયલ થયો હતો ત્યારે તેને દબોચી લેવામાં આવ્યો હતો.
આરોપી અને ઈજાગ્રસ્ત પોલીસ કર્મી હોસ્પિટલમાં દાખલ
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બહાદુર પોલીસ કર્મી ભરતભાઈ રાઠોડ અને ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપી મોઇનુદ્દીન બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેની સ્થિતિ સુધારા પર છે અને ખતરાથી બહાર છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી સામે ભાગી જવાનો પ્રયાસ અને સરકારી કર્મચારી પર હુમલો કરવા બદલ વધારાના ગુનાઓ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે.

ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલની JCP,DCP એ મુલાકાત લીધી
કુખ્યાત આરોપીના હુમલાનો ભોગ બનેલ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડને તાત્કલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ક્રાઈમ બ્રાંચનો અન્ય સ્ટાફ પણ દોડી ગયો હતો,ઉચ્ચ અધિકારીઓ એ પણ ભારત રાઠોડના ખબર અંતર પૂછ્યા હતા, ક્રાઇમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલ અને નાયબ પોલીસ કમિશ્નર અજીત રાજીયને ભારત રાઠોડની મુલાકાત લઇ સ્વાસ્થ્ય ની જાણકારી મેળવી હતી

મોઈનુદ્દીન પર શું છે આરોપ?
પોલીસ પર હુમલો કરનાર મોઈનુદ્દીન ખતરનાક ગુનાહિત માનસિકતા ધરાવે છે.દાણીલીમડામાં એક માનસિક રીતે અસ્થિર યુવતીને ખાંસી હતી તે દવા લેવા જઈ રહી હતી ત્યારે મોઈનુદ્દીને તેને દવા અપાવવા લઇ જવાનું કહી પોતાના વાહન પર બેસાડી એક મેદાનમાં લઇ ગયો હતો અને ત્યાં આ વિકૃતે તેની હવસ સંતોષી હતી..ઘરે પહોંચેલી માનસિક અસ્થિર યુવતીની હાલત અસ્વસ્થ જણાતા તેની માતાએ દીકરીની પૂછપરછ કરતા તેની સાથે બનેલ બીનાની કેફિયત રજુ કરી હતી.અને બાદમાં દાણીલીમડા પોલીસ મથકે આ અંગે ગુનો દાખલ થયો હતો.

ઘટના ની ગંભીરતા જોતા પોલીસ કમિશ્નર જી એસ માલિકે આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી હતી ક્રાઈમ બ્રાન્ચે સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજની ચકાસણી કર્યા બાદ આરોપી મોઈનુંદ્દીનનું પગેરું મેળવ્યું હતું અને 4 ડિસેમ્બરે તેને ઝડપી પાડ્યો હતો,કોર્ટમાં રજુ કરી 12મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.
મોઈનુદ્દીન વિરુદ્ધ 18 ગુનાઓ
મોઈનુંદ્દીનનો ગુનાહિત ભૂતકાળ છે.તેની વિરુદ્ધ વિરુદ્ધ 18 જેટલા ગુના નોંધાયેલા છે.પાસા ધારા હેઠળ 4 વખત જેલ જઈ આવ્યો છે,પશુ તસ્કરીના પણ કેસો તેની વિરુદ્ધ નોંધાયેલ છે.
DCP અજીત રાજીયનું નિવેદન
DCP અજીત રાજીયને જણાવ્યું હતું કે, 'ઘટના સ્થળે આરોપીને લઈને જવામાં આવ્યો ત્યારે આરોપીએ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી તે દરમિયાન પીઆઇ ઘસુરાની રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપીએ કાચના ટુકડા વડે હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડ પર કાચના ટુકડા વડે હુમલો કર્યો હતો. ભરત રાઠોડ અને આરોપી બંને સારવાર હેઠળ છે. આરોપી વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાશે' વધુમાં કહ્યું કે, 'આરોપી પર 16થી વધુ ગુના નોઁધાયેલા છે અને બે વાર પાસા અને તડીપારનો પણ ગુનો છે'





















