DyCM Harsh Sanghavi : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે રાજ્યના DyCM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ હતી. આ સભામાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે વીજળી, પાણી અને માર્ગ વ્યવસ્થા પણ ઉપલબ્ધ નહોતી, જ્યારે ભાજપના શાસનમાં આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થઇ છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી જ ગુજરાતમાં નાગરિકોને મૂળભૂત સુવિધાઓ મળે તે તેઓએ સુનિશ્ચિત કર્યું હતું. જરૂરિયાતમંદ નાગરિકોને નિ:શુલ્ક અનાજ પણ આજે મળી રહ્યું છે.
સ્થાનિક વિકાસના કાર્યો અને વિપક્ષી નકારાત્મકતા પર પ્રહાર
હર્ષ સંઘવીએ સ્થાનિક વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતાં નવી લાઇબ્રેરી, ખેડૂતોને યોગ્ય વળતર અને છાપી નજીક નિર્માણ પામેલ નવા બ્રિજ સહિતના વિકાસ કાર્યોને રેખાંકિત કર્યા હતા અને આ તમામ કાર્યોનો શ્રેય સ્થાનિક ભાજપના નેતૃત્વને આપ્યો હતો. સાથે જ તેમણે કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો વિકાસ કાર્યો કરવાનાં બદલે તેમાં અવરોધ ઉભા કરે છે અને સમાજમાં જાતિઆધારિત ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કરે છે. આવા નકારાત્મક તત્વોની વાતોમાં ન આવવા અને આવનારી ચૂંટણીમાં આવા લોકોને જાકારો આપી વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા તેઓએ નાગરિકોને હાકલ કરી હતી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતા ભાજપાની વિકાસની રાજનીતિને ભરપૂર સમર્થન આપશે. ગુજરાત કોંગ્રેસની હાલની પરિસ્થિતિ અંગે ટિપ્પણી કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ઇતિહાસનું સૌથી નબળું પરિણામ મળશે અને તે એક પણ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત પર વિજય મેળવી કરી શકશે નહીં તેવું ગુજરાતની જનતા એ નક્કી કરી લીધું છે.
કોંગ્રેસની કથળતી સ્થિતિ અને નવા સભ્યોનું ભાજપામાં આગમન
વડગામ ખાતે કોંગ્રેસ કાર્યાલયની સ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે વ્યંગાત્મક રીતે કહ્યું હતું કે, કાર્યકર્તાઓની જગ્યાએ કાગડા ઉડતા જોવા મળે છે. તેમણે કહ્યું કે હવાલાના કરોડો રૂપિયાના દુરુપયોગથી ગુજરાતની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરી રહેલ પક્ષનો પણ આ ચુંટણીમાં જનતા સફાયો કરશે. ભાજપા તરફી જંગી મતદાન કરી ભાજપાના ઉમેદવારોને ઐતિહાસિક લીડ સાથે વિજયી બનાવવા તેઓએ નાગરિકોને આહ્વાન કર્યું હતું. આ સભા દરમિયાન ગુજરાતના વણકર સમાજના આગેવાન અને નિવૃત્ત આચાર્ય ગેના ભીખાભાઈ પરમાર સહિતના અગ્રણીઓ DyCM હર્ષ સંઘવીના હસ્તે ભાજપાનો કેસરિયો ખેસ ધારણ કરી વિધિવત ભાજપામાં જોડાયા હતાં.





