mansa devi stampede: હરિદ્વારમાં મનસા દેવી અકસ્માતમાં મૃત્યુઆંક 8ને વટાવી ગયો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના પર કડક વલણ અપનાવતા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે મૃતકોના પરિવાર અને ઘાયલોના પરિવારજનો માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે.
મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જારી કરાયેલા નિવેદન મુજબ, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપશે. આ સાથે, ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ધામીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે મજબૂત રીતે ઉભી છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર હરિદ્વારના જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી રહી છે.
ભાગદોડમાં 8 લોકોના મોત થયા
CM ધામીએ કહ્યું હતું કે, મનસા દેવી મંદિરમાં અફવાને કારણે થયેલી ભાગદોડમાં 8 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘાયલોને મદદ કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ટ્વિટર પર પોસ્ટ કરીને આ દુ:ખદ અકસ્માત પર પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા
ઉત્તરાખંડના CMOએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હરિદ્વાર જિલ્લા હોસ્પિટલની મુલાકાત લેશે. તેઓ હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડમાં ઘાયલ થયેલા લોકોને મળશે અને સારવાર હેઠળ રહેલા ઘાયલોને આપવામાં આવતી આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કરશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે મનસા દેવી મંદિરમાં બનેલી ઘટનાની માહિતી માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.






