Hardik Pandya : IPL 2026 ની સિઝન મુંબઈ ઈન્ડિયન્સ અને તેમના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે અત્યંત કપરી સાબિત થઈ રહી છે. 5 વખતની ચેમ્પિયન ટીમ જે મેદાનમાં ઉતરે ત્યારે વિરોધીઓના પરસેવા છોડાવી દેતી હતી, તે આ વખતે પોતે જ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમનું પ્રદર્શન એટલું કથળ્યું છે કે, મુંબઈ હવે પ્લેઓફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર ફેંકાઈ ગયું છે. આ નિષ્ફળતાની વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર ક્રિસ શ્રીકાંતના એક નિવેદને સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સમાંથી વિદાય નિશ્ચિત છે.
ખરાબ ફોર્મ અને હારનો સિલસિલો
IPL 2026 માં હાર્દિક પંડ્યા માટે કંઈ જ સારું રહ્યું નથી. મેદાનમાં જ્યારે પણ તે ઉતરે છે ત્યારે ચાહકોના રોષનો સામનો કરવો પડે છે અને મેદાનની બહાર તેના ફોર્મ પર સવાલો ઉઠી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનમાં અત્યાર સુધી 11 મેચ રમી છે, જેમાંથી ટીમ માત્ર 3 મેચમાં જીત નોંધાવી શકી છે, જ્યારે 8 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં 9 મા ક્રમે ફેંકાયેલી ટીમ માટે મુશ્કેલીઓ ત્યાં પૂરી નથી થતી, હાર્દિક પંડ્યા પોતે પણ ફિટનેસના પ્રશ્નોથી ઘેરાયેલો છે અને છેલ્લી બે મહત્વની મેચોમાં તે ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહ્યો છે.
શું MI છોડવાની તૈયારીમાં છે હાર્દિક?: અડધી રાત્રે ઉઠીને પંડ્યાએ જે કર્યું એ તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય
શ્રીકાંતનો સનસનીખેજ દાવો
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને પસંદગીકાર ક્રિસ શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર જે વાત કહી છે, તેને ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા છે. શ્રીકાંતે જણાવ્યું કે, ભલે હાલમાં ફ્રેન્ચાઈઝી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે રીતે સ્થિતિ દેખાઈ રહી છે તે જોતાં લાગે છે કે, મુંબઈએ હાર્દિકને 'બાય-બાય' કહી દીધું છે. શ્રીકાંતે ભારપૂર્વક કહ્યું કે, મેનેજમેન્ટ હાર્દિકને સ્પષ્ટ કરી દેશે કે, હવે અમને તમારી જરૂર નથી. અટકળો એવી પણ છે કે, આગામી ઓક્શન પહેલા હાર્દિકને રીલીઝ કરી દેવામાં આવશે અથવા તો 'આભાર' કહીને છૂટો કરવામાં આવશે.
ખોટો સાબિત થયેલો દાવ
IPL 2023 પછી જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ટ્રેડ કર્યો, ત્યારે આખા ક્રિકેટ જગતમાં આશ્ચર્ય ફેલાયું હતું. હાર્દિકે ગુજરાતને પોતાની કેપ્ટનશીપમાં બે વાર ફાઇનલ સુધી પહોંચાડી હતી અને એકવાર ટાઇટલ જીતાડ્યું હતું. આ સફળતા જોઈને મુંબઈના મેનેજમેન્ટે રોહિત શર્મા જેવા દિગ્ગજ કેપ્ટનને હટાવીને હાર્દિક પર દાવ ખેલ્યો હતો. જોકે, આ નિર્ણય મુંબઈ માટે 'માસ્ટરસ્ટ્રોક' સાબિત થવાને બદલે મોટો ફ્લોપ સાબિત થયો છે. ટીમની એકતા અને ચાહકોના સપોર્ટમાં જે ગાબડું પડ્યું છે તેનાથી મેનેજમેન્ટ હવે પસ્તાવો કરી રહ્યું હોવાના અહેવાલ છે.
CSK vs MI IPL 2026: મેચમાં હાર બાદ હાર્દિક પંડ્યાનો સ્વીકાર, જાણો કોના પર ફોડ્યું ઠીકરું
ભવિષ્ય પર લટકતી તલવાર
હવે સવાલ એ ઊભો થાય છે કે, શું મુંબઈ ઈન્ડિયન્સ ફરીથી રોહિત શર્માને કેપ્ટન બનાવશે કે કોઈ નવા ખેલાડીની શોધ કરશે? હાર્દિક પંડ્યા માટે આ આઘાતજનક સમાચાર છે કારણ કે, તે ભારતીય ટીમનો પણ મહત્વના ખેલાડી છે. જો ફ્રેન્ચાઈઝી તેને સંપૂર્ણપણે ટીમમાંથી હટાવવાનો નિર્ણય લે છે, તો તેની IPL કરિયર પર મોટો પ્રશ્નાર્થ લાગી શકે છે. અત્યારે તો મુંબઈના ફેન્સ એ જ રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે ટીમ આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરે છે.





