Home Sports Hardik Pandya Irfan Pathan Criticism Mumbai Indians Ipl 2026

“જવાબદારીથી ભાગી નહીં શકાય” : ચેન્નાઈ સામેની હાર બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર કર્યા આકરા પ્રહાર!

Mumbai Indians
Image Credit: IPL
Published by: Aryan Shah
Last Updated: Apr 24, 2026, 01:46 PM IST

Hardik Pandya : IPL 2026 ની સિઝન પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી સાબિત થઈ રહી નથી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મળેલી કારમી હાર બાદ ફેન્સનો રોષ ફાટી નીકળ્યો છે. કેપ્ટન હાર્દિક પંડ્યા હાલમાં ટીકાકારોના નિશાને છે, પરંતુ આ વખતે ટીકા માત્ર સોશિયલ મીડિયા પૂરતી મર્યાદિત નથી. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે હાર્દિકની કેપ્ટનશીપના પાયાના નિર્ણયો પર સવાલ ઉઠાવતા તેને જવાબદારી સ્વીકારવાની સલાહ આપી છે.

નિષ્ફળ નેતૃત્વ અને પોઈન્ટ ટેબલની સ્થિતિ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ સિઝનમાં મેદાન પર વિખરાયેલી જોવા મળી રહી છે. આંકડાકીય રીતે જોઈએ તો, મુંબઈ અત્યાર સુધી રમાયેલી સાત મેચોમાંથી પાંચ મેચ હારી ચૂક્યું છે, જેના કારણે પ્લેઓફની રેસ તેમના માટે મુશ્કેલ બની ગઈ છે. ખાસ કરીને હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમનું સંકલન ક્યાંક ખૂટતું હોય તેવું સ્પષ્ટ જણાય છે. ચેન્નાઈ સામેની હોમગ્રાઉન્ડ પર મળેલી હારથી ટીમના મનોબળ પર પણ માઠી અસર પડી છે અને મેદાન પર કેપ્ટનની રણનીતિ અસરકારક સાબિત થઈ રહી નથી.

નિર્ણયોમાં ગંભીર ખામીઓ

ઈરફાન પઠાણે મેચના સૌથી ટર્નિંગ પોઈન્ટ ગણાતા નિર્ણયોની આકરી ટીકા કરી છે. મેચ જ્યારે નિર્ણાયક વળાંક પર હતી, ત્યારે 16 મી અને 20 મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ બોલિંગમાં જે ફેરફારો કર્યા તે આશ્ચર્યજનક હતા. ઈરફાને જણાવ્યું કે, જ્યારે સામેની ટીમનો સૌથી ખતરનાક બેટ્સમેન સંજુ સેમસન સેન્ચુરી ફટકારીને રમી રહ્યો હોય, ત્યારે માત્ર બીજી IPL મેચ રમી રહેલા યુવા બોલર ક્રિશ ભગતને બોલ સોંપવો એ આત્મઘાતી નિર્ણય હતો. આ નિર્ણયના પરિણામે ક્રિશ ભગતે માત્ર બે ઓવરમાં 31 રન લુટાવ્યા, જે અંતે મુંબઈની હારનું મુખ્ય કારણ બન્યું.

કેપ્ટનની જવાબદારી અને સક્રિયતા

ઈરફાન પઠાણે પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા હાર્દિકને આડે હાથ લેતા કહ્યું કે, એક કેપ્ટન તરીકે તમારે મુશ્કેલ પરિસ્થિતિમાં આગળ આવવું જોઈએ. જ્યારે કોઈ યુવા ખેલાડી દબાણમાં હોય, ત્યારે કેપ્ટને પોતે બોલિંગની જવાબદારી લેવી જોઈએ અથવા અનુભવી બોલરો પર વિશ્વાસ મૂકવો જોઈએ. હાર્દિકે મેદાન પર જે રીતે નિર્ણયો લીધા તે દર્શાવે છે કે, તે પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યો છે. પઠાણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કેપ્ટન માત્ર ટોસ જીતવા માટે નથી હોતો, તેણે મેદાન પર સક્રિય રહીને ટીમને રસ્તો બતાવવો પડે છે.

બેટિંગ અને ફોર્મની નબળાઈ

કેપ્ટનશીપ ઉપરાંત હાર્દિક પંડ્યાનું વ્યક્તિગત પ્રદર્શન પણ ચિંતાનો વિષય બન્યું છે. ઈરફાને તેના બેટિંગ ફોર્મ પર કટાક્ષ કરતા કહ્યું કે, 2023 પછી હાર્દિકના બેટમાંથી એક પણ અડધી સદી નીકળી નથી. તેની ટેકનિકમાં આવેલા ફેરફારને કારણે તે પેસ બોલરો સામે કદાચ રમી શકે છે, પરંતુ સ્પિન બોલિંગ સામે તેની લાચારી મેદાન પર સ્પષ્ટ દેખાય છે. ચેન્નાઈ સામેની મહત્વની મેચમાં પણ તે માત્ર 1 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. આ ખરાબ ફોર્મ માત્ર IPL પૂરતું મર્યાદિત નથી, પરંતુ આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો માટે પણ ભારત માટે ચિંતાનો વિષય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now