યાત્રાધામ દ્વારકામાં જાણીતા કથાકાર મોરારીબાપુ અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક વચ્ચે થયેલી શુભેચ્છા મુલાકાત હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. વર્ષો અગાઉ બંને વચ્ચે સર્જાયેલા વિવાદને ભૂતકાળમાં ભૂલી, દ્વારકાધીશની પવિત્ર ભૂમિ પર બંને મહાનુભાવોએ પરસ્પર સૌહાર્દપૂર્ણ વાતચીત કરી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી નવી શરૂઆતનો સંદેશ આપ્યો છે.
'સમાધાન અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ'
આ મુલાકાત દરમિયાન મોરારીબાપુ અને પબુભા માણેક હસતાં-હસતાં એકબીજાને મળ્યા હતા અને સકારાત્મકતા સાથે સંવાદ કર્યો હતો. આ શુભ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે, જેને લઈને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અનેક લોકોએ આ ઘટનાને 'સમાધાન અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ' તરીકે વખાણી છે.
વર્ષો જૂના મતભેદોને બાજુમાં મુક્યા!
વર્ષો જૂના મતભેદોને બાજુએ રાખીને પરસ્પર સમજ, સહકાર અને સૌજન્ય સાથે થયેલી આ મુલાકાત દ્વારકાની ધાર્મિક તથા સામાજિક પરંપરાને વધુ મજબૂત બનાવતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ શુભેચ્છા મુલાકાતે રાજકીય અને આધ્યાત્મિક વર્તુળોમાં પણ સકારાત્મક ચર્ચા જગાવી છે અને સમાજને એકતા તથા સમરસતાનો સંદેશ આપ્યો છે.




















