Laddu Gopal Missing: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આસ્થાથી જોડાયેલો એક અનોખો અને ભાવનાત્મક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે હત્યા, આતંકવાદ, નાણાકીય ગેરરીતિ કે મોટા ગુનાઓની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવતી હોય છે, પરંતુ ગ્વાલિયરમાં પોલીસ એક એવી 'ગુમ થયેલી વ્યક્તિ'ને શોધવા માટે SIT બનાવી રહી છે, જે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ તરીકે પૂજાતા 'લડ્ડુ ગોપાલ' છે. પાંચ મહિનાથી ગુમ થયેલી લડ્ડુ ગોપાલની મૂર્તિ શોધવા માટે હવે ગ્વાલિયર પોલીસે વિશેષ તપાસ ટીમ બનાવી છે. આ ઘટનાએ માત્ર સ્થાનિક લોકોને જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એક મહિલાની અડગ આસ્થા અને ભગવાન પ્રત્યેની લાગણીએ પોલીસ તંત્રને પણ સંવેદનશીલ અભિગમ અપનાવવા પ્રેરિત કર્યું છે.
શું છે સમગ્ર મામલો?
ગ્વાલિયરના અલકાપુરી વિસ્તારમાં રહેતી વિજયા શર્માના જણાવ્યા અનુસાર તેઓ 29 જાન્યુઆરીના રોજ પોતાના લાડકવાયા લડ્ડુ ગોપાલને સાથે લઈને મહારાજ બાડા વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન કોઈ લારી પાસે મૂર્તિ ભૂલથી રહી ગઈ હતી.
થોડા સમય બાદ જ્યારે તેમને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરી હતી, પરંતુ લડ્ડુ ગોપાલની મૂર્તિ ક્યાંય મળી નહોતી. ત્યારબાદ તેમણે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા, સ્થાનિક લોકોની પૂછપરછ કરી અને અનેક સ્થળોએ તપાસ હાથ ધરી, છતાં પાંચ મહિના બાદ પણ મૂર્તિનો કોઈ પત્તો લાગ્યો નથી.
આસ્થાને માન આપતા પોલીસ તંત્રએ બનાવી SIT
લાંબા સમય સુધી કોઈ સફળતા ન મળતા વિજયા શર્મા ગ્વાલિયરના આઈજી અરવિંદ સક્સેનાને મળ્યા અને તેમની મદદ માગી હતી. મામલાની સંવેદનશીલતા અને મહિલાની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને આઈજીએ CSP કિરણ અહિરવારના નેતૃત્વ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ ટીમમાં ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનોના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે, જે જૂના સૂત્રોની સાથે નવા દિશામાં પણ તપાસ કરશે. પોલીસનું કહેવું છે કે લડ્ડુ ગોપાલની મૂર્તિ ઝડપથી મળી આવે તે માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે.
આ પણ વાંચો: કેતન હત્યા કેસમાં હવે લાઇ ડિટેક્ટર ટેસ્ટ : સિયા-ચેતનની વધશે મુશ્કેલી
'લડ્ડુ ગોપાલ અમારા પરિવારના સભ્ય છે'
વિજયા શર્મા માટે આ માત્ર એક પૂજાની મૂર્તિ નથી પરંતુ તેમના પરિવારના સભ્ય સમાન છે. તેમણે જણાવ્યું કે લડ્ડુ ગોપાલ ગુમ થયા ત્યારથી ઘરમાં કોઈનું મન નથી લાગતું અને સમગ્ર પરિવાર માનસિક રીતે વ્યથિત છે. તેમણે ભાવુક સ્વરે કહ્યું કે ભગવાન કાન્હા તેમને સપનામાં આવે છે અને કહે છે કે તેમને ક્યાંક ઈજા થઈ છે. આ કારણે તેઓ સતત ચિંતિત રહે છે. વિજયા શર્માએ વધુમાં કહ્યું કે, "મારા કાન્હા અમને ખૂબ યાદ કરે છે. તેમના વગર અમારા ઘરમાં કોઈ શાંતિ નથી. અમે ભોજન પણ યોગ્ય રીતે કરી શકતા નથી."
લડ્ડુ ગોપાલને શોધી આપનારને મળશે ₹5 હજારનું ઈનામ
વિજયા શર્માએ જાહેર કર્યું છે કે, જે કોઈ વ્યક્તિ તેમના લડ્ડુ ગોપાલને શોધી આપશે તેને ₹5 હજારનું રોકડ ઈનામ આપવામાં આવશે. તેમણે ગ્વાલિયરવાસીઓને અપીલ કરી છે કે જો કોઈને આ મૂર્તિ અંગે માહિતી હોય તો તે પોલીસ અથવા તેમના પરિવારનો સંપર્ક કરે.
IGનો દાવો: દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે
ગ્વાલિયરના આઈજી અરવિંદ સક્સેનાએ જણાવ્યું કે, અગાઉ કોતવાલી પોલીસ દ્વારા મૂર્તિ શોધવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી નહોતી. તેમણે કહ્યું કે હવે તપાસનો વ્યાપ વધારવા માટે પડોશી પોલીસ સ્ટેશનોને પણ તપાસમાં જોડવામાં આવ્યા છે. વિશેષ ટીમને સૂચના આપવામાં આવી છે કે, જૂના તમામ સૂત્રો ફરીથી તપાસવામાં આવે અને મૂર્તિ શોધવા માટે દરેક સંભવિત દિશામાં કામ કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે, ફરિયાદીની આસ્થા અને ધાર્મિક ભાવનાઓને માન આપતા પોલીસ તંત્ર આ મામલે ગંભીરતાથી કામગીરી કરી રહ્યું છે.
આ પણ વાંચો: ISROને બોમ્બથી ઉડાવવાની ધમકી : બેંગલુરુ હેડક્વાર્ટરને ધમકીભર્યો ઈમેલ; સુરક્ષા એજન્સીઓ એલર્ટ
આસ્થા અને સંવેદનાનું અનોખું ઉદાહરણ
સામાન્ય રીતે પોલીસ તપાસ ગુનાઓ અને કાયદાકીય મુદ્દાઓ સુધી મર્યાદિત રહેતી હોય છે, પરંતુ ગ્વાલિયરની આ ઘટના દર્શાવે છે કે લોકોની ધાર્મિક લાગણીઓ અને આસ્થાને પણ તંત્ર ગંભીરતાથી લે છે. લડ્ડુ ગોપાલની શોધ માટે SITની રચના થવી માત્ર એક પોલીસ કાર્યવાહી નથી, પરંતુ તે લાખો ભક્તો માટે ભગવાન પ્રત્યેની લાગણી અને શ્રદ્ધાનો પણ એક અનોખો દાખલો બની છે.






