Kinjal Rabari Marriage: સુરતની સિંગર અને પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમલગ્ન કરતાં પાટીદાર સમાજના આગેવાનોએ સવાલ ઉઠાવ્યો હતો. ત્યાં બીજી તરફ વધુ એક ગુજરાતી સિંગર આંતરજ્ઞાતિય લગ્નને લઈને વિવાદમાં આવી છે. આ સિંગર બીજું કોઈ નહીં જાણીતી સિંગર કિંજલ રબારી છે. કિંજલ રબારી આતંરજ્ઞાતિય લગ્નનને લઈને ચર્ચાનો વિષય બની છે. સિંગરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, તેમણે પોતાની પસંદગીથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે. કિંજલના જણાવ્યા મુજબ, તેમના પરિવારને આ લગ્ન મંજૂર નહોતા અને આ કારણે હાલમાં વિવાદ ઉભો થયો છે.
સોશિયલ મીડિયામાં વીડિયો કરીને કરી સ્પષ્ટતા
કિંજલ રબારીએ વીડિયોમાં કહ્યું હતું કે, તેઓ રાધનપુર તાલુકાના સિનાર ગામની રહેવાસી છે અને પ્રોફેશનલ સિંગર તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યું કે લાંબા સમયથી તેઓ પોતાના પરિવારને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પરિવાર આ સંબંધને સ્વીકારવા તૈયાર નહોતો.તેમણે જણાવ્યું કે પરિસ્થિતિને કારણે તેમના પતિ અશોક ચૌધરી તેમને લેવા આવ્યા અને ત્યાર બાદ બંનેએ લગ્ન કર્યા. લગ્નની વાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં તેમના પતિ અંગે અનેક પ્રકારની પોસ્ટ અને ટિપ્પણીઓ થઈ રહી હોવાનું કિંજલ રબારીએ જણાવ્યું છે. તેમના કહેવા મુજબ, પોતાની મરજીથી લગ્ન કરવાના કારણે તેમને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. કિંજલ રબારીએ કહ્યું કે, તેઓ પોતાના સમાજનો ખૂબ માન રાખે છે, પરંતુ વ્યક્તિગત નિર્ણયને લઈને ખોટી અફવાઓ ફેલાવવી યોગ્ય નથી.
પતિ પર હુમલો અને જીવના જોખમનો દાવો
કિંજલ રબારીએ એવો પણ દાવો કર્યો છે કે, તેમને અને તેમના પતિને જીવનું જોખમ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે કાનૂની સલાહ લીધી છે અને પોલીસ પાસે સુરક્ષા માટે અરજી પણ કરી છે. વધુમાં કિંજલ રબારીએ જણાવ્યું હતું કે, જો તેમને કે તેમના પતિને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેની જવાબદારી તેમના પરિવાર પર રહેશે. સાથે સાથે તેમણે લોકોને અપીલ કરી કે તેમના લગ્નને લઈને કોઈપણ પ્રકારની ખોટી વાતો અથવા અફવાઓ ફેલાવવી નહીં.
કિંજલ રબારીએ વિડીયોમાં શું કહ્યું ?
હું કિંજલ રબારી ગામ સિનાર તાલુકો રાધનપુર હું એક પ્રોફેશનલ સિંગર છું, મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ ત્યારથી સોશિયલ મીડિયા પર મારા પતિ વિશે જે તે લખેલું મે જોયું છે જેથી હું આ બધાને તેમજ આખાય રબારી સમાજને જણાવવા માગું છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે મને તેમ જ મારા પતિને જીવનું જોખમ છે એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમ જ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલા લીધેલ છે જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવાહ કે વાતો ફેલાવવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લાગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જવાબદાર મારો પરિવાર રહેશે.
આરતી સાંગાણી પણ લગ્ન કરવા બાબતે ચર્ચામાં આવી હતી
સુરતની જાણીતી ગાયિકા આરતી સાંગાણીએ પોતાના જ કાર્યક્રમોમાં તબલા વાદક અન્ય જ્ઞાતિના યુવક દેવાંગ ગોહિલ સાથે પ્રેમલગ્ન કરતા ભારે વિવાદ સર્જાયો હતો. આ આંતરજ્ઞાતિય લગ્નને કારણે પાટીદાર સમાજમાં ભારે ઉહાપોહ મચી ગયો છે અને સમાજના આગેવાનો દ્વારા તીવ્ર નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ ઘટનાથી અત્યંત દુઃખી થયેલા આરતીના પિતાએ ભાવુક બનીને દીકરીને ઘરે પરત ફરવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે દીકરીએ પ્રેમલગ્ન કરીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેમ છતાં તેઓ તેની તમામ ભૂલો માફ કરીને તેને એક દીકરાની જેમ અપનાવવા તૈયાર છે.





















