Gujarat Weather Forecast: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે ફરી એકવાર મેઘરાજા દસ્તક દેવા જઈ રહ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આવતીકાલે એટલે કે 28 માર્ચ, 2026ની રાતથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક શક્તિશાળી 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થઈ રહ્યું છે. આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે, જેના કારણે આગામી 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્યતા છે. આ ફેરફારને કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જે ગરમીથી આંશિક રાહત આપશે પરંતુ ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બેવડી અસર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સ્થિતિ વચ્ચે 28 માર્ચની રાતથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી વિસ્તારોમાં પ્રવેશશે. આ બંને સિસ્ટમના સંયુક્ત પ્રભાવથી ગુજરાતના આકાશમાં વાદળો ઘેરાશે અને પવનની દિશા બદલાશે. ખાસ કરીને સરહદી વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં તેની અસર વધુ વર્તાશે.
આ પણ વાંચો: ભૂક્કા કાઢી નાંખશે કમોસમી વરસાદ : અંબાલાલની આગાહી; વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, આ વિસ્તારોમાં વરસશે કૃદરતનો પ્રકોપ
ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. ખાસ કરીને 29 માર્ચના રોજ વહેલી સવારથી જ બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ, 30 માર્ચના રોજ વરસાદનો વ્યાપ વધુ વિસ્તરશે, જેમાં બનાસકાંઠા અને કચ્છ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં પણ માવઠું થવાની શક્યતા સેવાઈ રહી છે. આ સમયગાળા દરમિયાન પ્રદેશમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે પરંતુ આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે.
તાપમાનમાં ઘટાડો અને માછીમારોને ચેતવણી
આગામી 24 કલાક બાદ રાજ્યમાં ગરમીનો પારો નીચે ઉતરશે. કમોસમી વરસાદ અને પવનને કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જેનાથી બપોરના સમયે અનુભવાતી કાળઝાળ ગરમીમાં રાહત મળશે. બીજી તરફ, સમુદ્રમાં સર્જાયેલી હલચલને જોતા માછીમારો માટે ખાસ સૂચના જારી કરવામાં આવી છે. ઓમાનના દરિયાકાંઠા અને ગલ્ફ ઓફ ઓમાનમાં 45 થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.






