ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ પ્રકરણમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ઘટનાને અનુસરીને સાત વિદ્યાર્થીઓના એડમિશન મુદ્દે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.
કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાએ જણાવ્યું કે પ્રથમ વખત ગુમરાહ થયેલા વિદ્યાર્થીઓ સામે નરમ વલણ અપનાવવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા સાતેય વિદ્યાર્થીઓના એડમિશન રદ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓને ક્લાસ અટેન્ડ કરવા અને પરીક્ષા આપવા મંજૂરી આપવામાં આવી છે.
તેથી, વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના અન્ય વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુલપતિએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય કોઈ દબાણ હેઠળ નહીં પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
NSUI દ્વારા કરાયેલા આક્ષેપો અંગે કુલપતિએ જણાવ્યું કે કેમેરા તોડફોડ અથવા હથિયાર સાથે ફરવાના કોઈ વિશ્વસનીય વીડિયો અથવા પુરાવા સામે આવ્યા નથી. “જો કોઈ પુરાવા મળશે તો ભેદભાવ વિના કડક કાર્યવાહી કરવામાં આવશે,” એમ તેમણે ઉમેર્યું.
મહાન પુરુષોના પોસ્ટર નુકસાન મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેને પાછી ખેંચવી મુશ્કેલ હોવાનું પણ સ્પષ્ટ કરાયું છે. કુલપતિએ કડક સંદેશ આપતા જણાવ્યું કે આવું કૃત્ય ગંભીર ગુનો ગણાઈ શકે છે અને યુનિવર્સિટી શિસ્તભંગને સહન નહીં કરે.
શું છે મામલો
મળતી માહિતી અનુસાર, અટલ કલામ ભવનમાં આયોજિત એક પ્રદર્શનમાં 16મી ફેબ્રુઆરીથી વિવિધ ન્યૂઝ પેપરના કટિંગ્સ સહિત સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોના ઐતિહાસિક પત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન 16 થી 23 ફેબ્રુઆરી સુધી શાંતિપૂર્ણ રીતે ચાલ્યું હતું. આ દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી સંગઠન કે NSUI તરફથી કોઈ વિરોધ કે રજૂઆત કરવામાં આવી નહોતી.
જોકે, 23 મી ફેબ્રુઆરીએ અચાનક NSUI ના કાર્યકર્તાઓ અને નેતાઓએ કોઈ પણ પૂર્વ સૂચના વગર કે વાતચીત કર્યા વગર પ્રદર્શનમાં તોડફોડ કરી પોસ્ટરો અને મટિરિયલ ફાડી નાખ્યું હતું.




















